‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન
NEET Paper Leak Case : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETનું પેપર લીક થયું હતું કે નહીં, આ સવાલ પર ગુરુવારે સંસદની એક મોટી સમિતિ સમક્ષ NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્યાં વિરોધ પક્ષના નેતાઓએ જોરદાર સવાલો પૂછ્યા હતા, પરંતુ NTAના અધિકારીઓ એક પણ સવાલનો સીધો જવાબ આપી શક્યા નહોતા. સંસદની એજ્યુકેશન કમિટી એટલે કે 'શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમતની સંસદીય સ્થાયી સમિતિ'એ ગુરુવારે NTAના ઉચ્ચ અધિકારીઓને હાજર થવા આદેશ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ છે. NTA તરફથી NTA ચેરમેન પ્રદીપ કુમાર જોશી અને NTA ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ હાજર રહ્યા હતા.