કૃષિ કાયદા મામલે મોદી સરકાર હવે સુપ્રીમ કોર્ટના ભરોસે


- સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ 11 માર્ચ સુધીમાં રિપોર્ટ રજૂ કરશે

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા વિવાદ મામલે મોદી સરકારે હવે સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટના વલણની રાહ જોવાનું નક્કી કરી લીધું છે. આ વિવાદના સમાધાન માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ 11 માર્ચ સુધીમાં રિપોર્ટ રજૂ કરશે. જો કે, ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું હોવા છતા સમિતિ આગામી બે સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરી લે તેવી સંભાવના ઓછી છે. આ સંજોગોમાં સમિતિ સુપ્રીમ કોર્ટ પાસે વધારાના સમયની માંગણી કરી શકે છે. 

સરકારે કૃષિ કાયદાના વિવાદ મામલે પોતાના તરફથી નવી પહેલ કરવાના બદલે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો પ્રમાણે ચાલવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આ વિવાદના ઉકેલ માટે 3 સદસ્યો ધરાવતી સમિતિની રચના કરી છે. આ સંજોગોમાં સરકાર સમિતિના રિપોર્ટ અને તે અંગે સુપ્રીમ કોર્ટના વલણની રાહ જોઈ રહી છે. 

સમિતિએ અત્યાર સુધીમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા 500થી વધારે સંગઠનો, ગેરસરકારી સંગઠનો, ફુડ પ્રોસેસિંગ સેક્ટરના ઉદ્યમીઓ, વેપારીઓના સંગઠનો અને નિષ્ણાંતો સાથે વાત કરી છે. અત્યાર સુધીમાં કોઈએ આ કાયદો પાછો ખેંચવાની સલાહ નથી આપી. જો કે, કાયદાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવા અનેક સૂચન મળ્યા છે. આ કારણે સરકારને લાગે છે કે સુપ્રીમ કોર્ટ પણ કાયદો પાછો ખેંચવાની દલીલને નહીં સ્વીકારે. 

હાલ આ સમિતિ ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. જો કે, રિપોર્ટ રજૂ કરવાની સમયમર્યાદા પૂર્ણ થવાના બે સપ્તાહ પહેલા સુધીમાં સમિતિ અડધું કામ જ કરી શકી છે. સમિતિએ ઈન્ટરનેટના માધ્યમથી પણ સૂચનો મંગાવ્યા છે અને મંતવ્યો જાણવાની પ્રક્રિયા હજું ચાલુ છે. 

ત્યાર બાદ વિવિધ માધ્યમોથી મળેલા સૂચનોનું અધ્યયન કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સમિતિ રિપોર્ટ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ પાસે વધારે સમયની માંગણી કરશે તેવું અનુમાન છે. આ સંજોગોમાં આ મુદ્દો 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સુધી ટળી શકે છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો