ઝારખંડઃ નક્સલીઓએ ચક્રધરપુર રેલ મંડલ ખાતે ઉડાવ્યો રેલવે ટ્રેક, હાવડા-મુંબઈ મુખ્ય રેલ માર્ગ ઠપ્પ

- આઝાદ હિંદ એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરીને રેલવે ટ્રેકને ઉડાડવામાં આવ્યો
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર
નક્સલીઓએ રવિવારે રાતે ઝારખંડના ચક્રધરપુર રેલ મંડલ ખાતે રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. આ કારણે હાવડા-મુંબઈ મુખ્ય રેલ માર્ગ ઠપ્પ થઈ ગયો છે. જાણવા મળ્યા મુજબ નક્સલીઓએ ચક્રધરપુર રેલ મંડલના લોટાપહાડ પાસે લેન્ડમાઈન્સ લગાવીને રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો. રાતના 2:15 કલાકે બનેલી આ ઘટના બાદ ચક્રધરપુર રેલ મંડલમાં ટ્રેનોનું પરિચાલન રોકી દેવામાં આવ્યું હતું.
આ કારણે હાવડા-મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર ટ્રેનોનું પરિવહન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. ચક્રધરપુર રેલ મંડલના વિવિધ સ્ટેશનોમાં પેસેન્જર ટ્રેનો રોકી દેવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે આઝાદ હિંદ એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરીને રેલવે ટ્રેકને ઉડાડવામાં આવ્યો હતો પરંતુ નક્સલીઓ પોતાનો ઉદ્દેશ્ય પાર પાડવામાં અસફળ રહ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ ટ્રેનને નુકસાન નથી પહોંચ્યું.
હકીકતે નક્સલીઓ તેમના ખાત્મા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પ્રહારનો વિરોધ કરી રહ્યા છે. નક્સલીઓએ 26 એપ્રિલના રોજ ભારત બંધની જાહેરાત કરેલી છે. રેલવે ટ્રેકમાં બ્લાસ્ટની સૂચના બાદ જિલ્લા પોલીસ, આરપીએફ ઉપરાંત રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
Comments
Post a Comment