મમતા બેનરજીએ ભાજપના મૃત નેતાની સરખામણી કૂતરા સાથે કરતા વિવાદ

નવી દિલ્હી,તા.26.સપ્ટેમ્બર,2021
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપના મૃત નેતાની સરખામણી મરેલા કુતરા સાથે કરી છે અને તેના વિરોધમાં ભવાનીપુર બેઠક પરથી મમતા બેનરજી સામે ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા પ્રિયંકા ટિબરવાલ અને બીજા નેતાઓએ એક રેલીનુ શનિવારે આયોજન કર્યુ હતુ.
મમતા બેનરજીએ ભવાનીપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે, મેં સાંભળ્યુ છે કે, ભાજપના કાર્યકરો એક મૃતદેહ સાથે મારા ઘરમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હતા અને તેમની આવી હિંમત કેવી રીતે થઈ ...
મમતા બેનરજીએ ભાજપને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, હું તમારા ઘરે એક મરેલો કુતરો મોકલી દઈશ તો શું થશે..આવુ કરતા મને એક સેકન્ડનો જ સમય લાગશે અને તમે કુતરાના મૃતદેહની દુર્ગંધના કારણે ઘરમાં દસ દિવસ સુધી ખાવા પણ નહીં ખાઈ શકો.
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા માનસ સહાએ 2021 વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવ્યુ હતુ પણ તેઓ આ ચૂંટણી હારી ગયા હતા.મત ગણતરીના દિવસે તેમના પર ટીએમસીના ગૂંડાઓએ કથિત રીતે હુમલો કર્યો હતો.જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
22 સપ્ટેમ્બરે તેમનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.
Comments
Post a Comment