LIVE: સરદાર ભુલાયા મોટેરા સ્ટેડિયમ હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ના નામે ઓળખાશે

અમદાવાદ, તા. 24 ફેબ્રુઆરી 2021, બુધવાર
- મોટેરામાં ગત વર્ષે ટ્રમ્પ અને મોદીનો સંયુક્ત કાર્યક્રમ એ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ના કહેવાય !
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસતે થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે સાડા બાર કલાકે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં બન્યુ છે.
નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું
મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટનની સાથે જ સ્ટેડીયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ રીતે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હોમ સ્ટેટમાં એક મોટી ભેટ મળી છે.
રાષ્ટ્રપતિ બે દિવસની ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે મંગળવારના રોજ આવી પહ્યાં હતા. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન તો ગત વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત કાર્યક્રમની સાથે જ થઈ ગયું હતુ.
નમસ્તે ટ્રમ્પ એ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ના કહેવાય
ભવ્ય જલસા જેવા આ ક્રાર્યક્રમને જ સ્ટેડિયમનો ઉદ્ઘાટન કાર્યક્રમ માનવામાં આવતો હતો. જોકે હવે આ મેદાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવાની છે, ત્યારે ઉદ્ઘાટન થઈ ગયા બાદ હવે સત્તાવાર ઉદ્ઘાટન યોજવામાં આવ્યો હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે.
આજથી મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલથી ડે-નાઈટ મેચ શરૂ થવા જઈ રહી છે. બપોરે અઢી વાગ્યે મેચની શરૂઆત થવાની છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ 32 હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. પરંતુ કોરોના કાળ વચ્ચે ક્રિકેટ મેચને લઈને બેઠક વ્યવસ્થાની 50 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને પ્રવેશ અપાશે.જે ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન અને મેચને લઈને સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Comments
Post a Comment