ભારે વરસાદના કારણે દિલ્હી જળબંબાકાર, મુંબઈમાં પણ આફત, ઓરેન્જ એલર્ટ જાહેર


- જલગાંવના 40 ગામોમાંથી પસાર થતી તિતૂર નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ

નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર

દિલ્હી-એનસીઆરમાં સવારથી જ ફરી એક વખત વરસાદ વરસી રહ્યો છે. કાળા અને ગાઢ વાદળોના કારણે અંધારૂ છવાયેલું છે. સવારથી જ સૂરજના દર્શન નથી થયા. રસ્તાઓ પર ગાડીઓની ઝડપ ધીમી પડી ગઈ છે અને ગાડીઓની લાઈટો ચાલુ છે. આ બધા વચ્ચે ભારે વરસાદના કારણે સવાર-સવારમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે આખો દિવસ અટકી-અટકીને વરસાદ ચાલુ રહી શકે છે. 

તેવામાં વરસાદના કારણે સવારે ઓફિસ જવા માટે નીકળતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. વરસાદના કારણે દિલ્હીના એઈમ્સ ફ્લાયઓવર, હયાત હોટેલ પાસે રિંગ રોડ પર, સાવિત્રી ફ્લાઈઓવરની બંને બાજુ, મહારાની બાગ, ધૌલા કૂવાથી 11 મૂર્તિના રસ્તે, શાહજહાં રોડ, આઈટીઓના ડબ્લ્યુ પોઈન્ટ, લાલા લજપત રાય માર્ગ અને મૂળચંદ અંડરપાસ પાસે પાણી ભરાવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ભારતીય હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દિલ્હી, એનસીઆર-ગુરૂગ્રામ, માનેસર, ફરીદાબાદ, વલ્લભગઢ, તોશામ, ભિવાની, ઝજ્જર, નારનૌલ, મહેન્દ્રગઢ, કોસલીના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. 

યુપીમાં વરસાદ-પૂરથી જનજીવન પ્રભાવિત

પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ વાદળ વરસી રહ્યા છે. મેરઠમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઉપરાંત યુપીના અનેક વિસ્તારોમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગોંડા ખાતે સરયૂનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને અનેક ગામડાઓ તબાહ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાથી પાક નષ્ટ થયા છે અને લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. 

આસામના 21 જિલ્લાઓમાં પૂર

ગુવાહાટીમાંથી પસાર થતી બ્રહ્મપુત્ર નદી હવે જોખમના નિશાનની ઉપર વહી રહી છે. આસામ અને તેને અડીને આવેલા પહાડી રાજ્યોમાં વરસી રહેલા વરસાદના કારણે સ્થિતિ બદતર થઈ રહી છે. પાણીનું લેવલ વધવાના કારણે બ્રહ્મપુત્રમાં હોડીઓની અવર-જવર બંધ છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણે આસામના 21 જિલ્લાઓમાં પૂરના પ્રકોપને કારણે 3 લાખ કરતા વધારે લોકો પૂરથી પ્રભાવિત છે. 

મહારાષ્ટ્રમાં રેકોર્ડ તોડ વરસાદ

દિલ્હી ઉપરાંત મુંબઈ પણ મોડી રાતથી વરસી રહેલા વરસાદના કારણે જળબંબાકાર છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સવારે કામ પર જવા નીકળનારા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદે પાછલા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જલગાંવમાં દુકાનો અને મકાનો તબાહીનો ભોગ બન્યા છે અને રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. જલગાંવના 40 ગામોમાંથી પસાર થતી તિતૂર નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો