આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની



બીજા વિશ્વયુદ્ધમાં જપાન પર અણું બોમ્બ ફેંકાયો તેનો આ મહાવિજ્ઞાાનીને એટલો અફસોસ થયો કે તેમણે દુનિયાને નિશસ્ત્રીકરણની અપીલ કરી

નૈતિક પતનના યુગમાં તેઓ એકલા એવા સ્ટેટ્સમેન હતા, જેમણે રાજકીય ક્ષેત્રમાં પણ માનવીય સંબંધોની ઉચ્ચ સ્તરની વ્યાખ્યા બાંધી. ત્યાં સુધી પહોંચવાની કામના આપણે પૂરી મહેનત સાથે કરવી જોઈએ. માનવજાતિનું ભવિષ્ય ત્યારે જ સહનીય બનશે જ્યારે બીજી બધી બાબતોની જેમ વૈશ્વિક બાબતો પણ ન્યાય અને કાયદાના આધારે ચાલશે. અત્યાર સુધી ખુલ્લા આતંકના આધારે ચાલ્યું છે તે રીતે નહીં. આ એક કઠીન સબક છે અને તે આપણે શીખવો જ પડશે.

આવું અલ્બર્ટ આઇન્સ્ટાઇને ગાંધીને કેન્દ્રમાં રાખીને કહ્યું હતું. માધ્યમો હંમેશા આઇન્સ્ટાઇન સાથે ફ્લર્ટ કરતા રહ્યા, સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ પોતાની વિદ્વત્તાપૂર્ણ સમજ પ્રમાણે સમજાવતા રહ્યા, કિન્તુ ભાગ્યે જ કોઈએ કહ્યું હશે કે આઇન્સ્ટાઇન તેમના વિચારોથી ગાંધીવાદી હતા. આપણે પસંદ કરેલું સત્ય હાઈલાઇટ કરીને બાકીનો હિસ્સો ઢાંકી શા માટે દઈએ છીએ? વિચારવું જોઈએ.

આ દાર્શનિક વિજ્ઞાાનીએ બીજી પણ અદ્ભુત વાત કરેલી, ક્રૂર સૈન્ય શક્તિને દબાવવા માટે એ જ પ્રકારની ક્રૂર સૈન્ય શક્તિનો ગમે તેટલા લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો પણ સફળતા મળતી નથી. સફળતા ત્યારે જ મળે છે જ્યારે ક્રૂર સૈન્ય બળનો ઉપયોગ કરનારા લોકો સાથે અસહયોગ કરવામાં આવે. ગાંધીએ પારખી લીધું હતું કે જે દૂષ્ચક્રમાં દુનિયાના રાષ્ટ્રો ફસાઈ ગયા છે તેમાંથી નીકળવાનો આ જ એક માર્ગ છે. દુનિયાના તમામ લોકોએ ગાંધીના ઉપદેશોને પોતાની આધાર ભૂત નીતિના રૂપમાં સ્વીકાર કરી લેવા જોઈએ. મોડું થઈ જાય એ પહેલા જે કંઈ સંભવ હોય તે બધું કરી છૂટવું જોઈએ.

આઇન્સ્ટાઇન ભાષા સિવાયના દરેક વિષયમાં બાળપણથી જ તેજસ્વી હતા. ખાસ કરીને વિજ્ઞાનમાં. શાળામાં ભણતા હતા ત્યારે જ વિજ્ઞાાનના પુસ્તકો વાંચી-વાંચીને જનરલ સાયન્સના ગજબના જાણકાર બની ગયા હતા. જર્મની ઉપરાંત સ્વિત્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયામાં પણ તેઓ ત્યાંના નાગરિક બનીને ઘણો વખત રહેલા. ૧૯૧૪થી ૧૯૩૨ સુધી બર્લિનમાં રહેવા દરમિયાન તેઓ જર્મનીમાં રહેતા હતા ત્યારે તેમણે હિટલરની યહૂદીઓ પ્રત્યેની ઘુ્રણા પારખી લીધી અને તુરંત અમેરિકા જતા રહ્યા. ત્યાં પ્રિન્સ્ટન શહેરમાં સ્થાયી થયા.

આઇન્સ્ટાઇનને માત્ર ૨૦મી સદીના જ નહીં, પરંતુ સમગ્ર માનવ ઈતિહાસના સૌથી મહાન વિજ્ઞાાની માનવામાં આવે છે. શા માટે? કેમ કે તેમનું જ્ઞાાન કેવળ સાયન્સ પૂરતું સીમિત નહોતું. તેઓ જીવન, આંતરરાષ્ટ્રીય રાજનીતિ, સમાજ આ બધી બાબતોને પણ બહુ ઊંડાણપૂર્વક સમજી શક્યા હતા. તેમની પાસે પોતીકું દર્શન હતું.

૧૯૦૫નું વર્ષ તેમની સિદ્ધિઓનું સ્વર્ણિમ વર્ષ હતું. E= mc2 આ મહાસૂત્રની શોધ કરી. જ્યારે કોઈપણ પદાર્થ પ્રકાશની ઝડપે ગતિ કરે ત્યારે તેનું ઊર્જામાં રૂપાંતર થાય છે.  આ ઊર્જા કેટલી? તો કહે પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ઝડપનો વર્ગ. (કોઈ પદાર્થ પ્રકાશની ઝડપે ગતિ કરે તો તેનું ઊર્જામાં રૂપાંતર થાય તો ક્યાંક એવું તો નહીં હોયને કે એક બિંદુમાં સમાયેલી પ્રચંડ ઊર્જાની ગતિની ઝડપ ઘટતા બિગ બેન્ગ જેવી ઘટના ઘટી? ન સમજાયું? જવા દો.) 

આઇન્સ્ટાઇનસાહેબને ફોટો ઇલેક્ટ્રિકના નિયમો આપવા બદલ ૧૯૨૧માં નોબેલ આપવામાં આવ્યો હતો. સૌર ઊર્જાની મદદથી વીજળીનું ઉત્પાદન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટથી જ સંભવ બન્યું છે. ફોટો ઇલેક્ટ્રિકનો સિદ્ધાંત સાવ સરળ છે. પદાર્થ પર પ્રકાશ પડતા તે ઇલેક્ટ્રોન ગુમાવે તેને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહે છે.  નાઇટ વિઝન કેમેરા પણ ફોટો ઇલેક્ટ્રિકનું જ પરિણામ છે. જ્યારે તેમણે જીવનના મહત્ત્વના સંશોધનો કર્યા ત્યારે તેઓ સ્વિત્ઝર્લેન્ડના પેટન્ટ કાર્યાલયમાં ટેકનો-આસિસ્ટન્ટ તરીકે કાર્ય કરતા હતા. ૨૬ વર્ષની ઉંમરે પીએચડી થયા. 

દુનિયામાં કોઈ એવો સ્થિર પદાર્થ નથી જેને આધારભૂત બનાવીને આપણે બીજા પદાર્થની ગતિ માપી શકીએ, એવું સત્ય પ્રતિપાદિત કરીને જગતને સાપેક્ષવાદનો વિશેષ સિદ્ધાંત આપ્યો. આ શોધ પછી તેઓ એક વખત નવરા બેઠા હતા  ત્યારે તેમને ઝબકારો થયો, કોઈ માણસ વિના અવરોધે આકાશમાંથી નીચે પડતો હોય તો ભારહીનતાનો અનુભવ કરશે.

આ એક વિચારે તેમને જે થીઅરી આપવા પ્રેર્યા તે સાપેક્ષવાદનો સામાન્ય સિદ્ધાંત. તે એવું કહે છે કે કોઈ પણ પદાર્થ તેની આસપાસ ટાઇમ અને સ્પેસનો મરોડ પેદા કરે છે. આથી જ તે જ્યારે તે ગતિ કરે ત્યારે ગુરુત્વાકર્ષણ જેવા ખેંચાણનો સામનો કરે છે. (ડોન્ટ વરી. બોર ન થતા. આ આર્ટિકલ કંઈ આઇન્સ્ટાઇનના સંશોધનો સમજાવવા માટે નથી. આ તો જસ્ટ એક ઝલક હતી.)

૧૯૩૨માં તેઓ અમેરિકા જતા રહ્યા અને આ બાજુ ૧૯૩૩માં હિટલરની તાનાશાહી શરૂ થઈ ગઈ. ૧૦મી મે ૧૯૩૩ના રોજ તેના પ્રચાર મંત્રી યોઝેફ ગોએબેલ્સે યહૂદી સાહિત્યની જાહેરમાં હોળી કરવાનું અભિયાન આરંભી દીધું. આઇન્સ્ટાઇનના પુસ્તકોની પણ હોળી થઈ. જર્મન રાષ્ટ્રના શત્રુઓની એક સૂચિ બની. જે વ્યક્તિ આઇન્સ્ટાઇનની હત્યા કરે તેને પાંચ હજાર ડોલરનું ઈનામ આપવાની ઘોષણા થઈ. 

જોકે તેઓ તેમના સંશોધન કાર્યમાં વ્યસ્ત થઈ ગયા હતા. જનરલ થીઅરી ઑફ રીલેટિવિટી અને ઇલેક્ટ્રો મેગ્નેટિકના સિદ્ધાંતોની ભેળસેળ કરીને યુનિફાઇડ ફીલ્ડ થીઅરી રચવા માગતા હતા. હજુ સુધી કોઈ સફળ નથી થયું. તેઓ પણ ક્યાં થયા હતા? તેઓ એક એવું બ્રહ્મસૂત્ર શોધવા માગતા હતા જેના આધારે બ્રહ્માંડની તમામ શક્તિઓ અને અવસ્થાઓની વ્યાખ્યા થઈ શકે. 

તેમનાં પ્રથમ પત્ની મિલેવા મારિચ સર્બિયાના હતા. બેર્નમાં ભણતા હતા ત્યારે જ એકમેકના પરિચયમાં આવ્યા હતા. તેમના બે પુત્ર હતા, હાન્સ અલ્બર્ટ અને એદુઆર્દ. લગ્ન પહેલા જ તેમને એક દીકરી જન્મી હતી, લીઝરીલ. તેના વિશે તેમણે દુનિયાને અજ્ઞાાત જ રાખેલી. કદાચ તેના અપહરણ કે હત્યાના ભયથી.

૧૧મી જાન્યુઆરી ૧૯૩૫ના રોજ તેમણે પ્રિન્સ્ટન ખાતેથી પુત્ર હાંસ અલ્બર્ટને એક પત્ર લખેલો, ગણિત રૂપી રાક્ષસના પંજામાં એવો ખરાબ રીતે સપડાઈ ગયો છું કે કોઈને વ્યક્તિગત પત્ર લખવાનો સમય જ મળતો નથી. દિન-દુનિયાથી વિમુખ રહીને કામમાં જ ખૂંપેલો રહંુ છું. નજીકના ભવિષ્યમાં યુરોપ જવાનો કોઈ વિચાર નથી. કેમ કે ત્યાં આવી પડનારી વિપદા હું સહી શકું તેમ નથી. એક વૃદ્ધ બાળક હોવાને નાતે મને આ બધાથી દૂર રહેવાનો અધિકાર પણ છે.

તેઓ સંસારના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રશંસિત મનુષ્ય હતા. તોય તેમણે ક્યારેય ઊંચા પદની આશા રાખી નહોતી. ૧૯૪૮માં તેમને ઈઝરાયલનું રાષ્ટ્રપતિપદ ઑફર થયેલું, જે તેમણે ન સ્વીકારીને દેખાડી દીધેલું કે તેમણે ગાંધીના સિદ્ધાંતોને માત્ર શો ઑફ કરવા માટે નહોતા અપનાવ્યા. આત્મસાત કર્યા હતા. 

જર્મનીમાં હતા ત્યારે તેઓ સમ્રાટ વિલ્હેમ ઇન્સ્ટીટયૂટમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. ૧૯૨૨માં જ તેમને યહૂદીઓ પ્રત્યે જર્મનીમાં ફેલાવા લાગેલી ઘૃણાનો અનુભવ થવા માંડેલો. આ વિશે તેમણે પોતાની બહેનને એક પત્રમાં  લખેલું પણ ખરું. તે પત્રની થોડા વર્ષો પહેલા ૩૦,૦૦૦ યુરોમાં હરાજી થયેલી. ૧૯૩૯માં તેની બહેન માયા પણ પ્રિન્સ્ટન આવી ગઈ હતી. જોકે બનેવીને નાઝીઓએ આવા દીધા નહોતા.

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે હંગેરી પરમાણું વિજ્ઞાાની લેઓ જિલાર્ડે તત્કાલીન અમેરિકી પ્રમુખ એફ. ડી. રુઝવેલન્ટને એક પત્ર લખેલો. તેમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે નાઝી જર્મની એક નવા જ પ્રકારનો વિનાશકારી બોમ્બ બનાવી રહ્યું છે અથવા બનાવવા જઈ રહ્યું છે. આથી તેને ખાળવા માટે  પણ એવો બોમ્બ બનાવવો જોઈએ.

હંગેરીના વિજ્ઞાાનીએ લખેલા પત્રની નીચે કેટલાક દિગ્ગજ વિજ્ઞાાનીઓએ સહી કરી હતી તેમાં એક હતા આઇન્સ્ટાઇન. જે ચેતવણી વિજ્ઞાાનીઓએ આપી હતી તે જ ગુપ્તચરો પાસેથી પણ મળી હતી. આથી રુઝવેલ્ટે મેનહટન યોજનાને મંજૂરી આપી અને વિશ્વનો સૌપ્રથમ અણુબોમ્બ તૈયાર થઈ ગયો. 

હિરોશિમા અને નાગાસાકી પર તેનો પ્રયોગ થતા આઇન્સ્ટાઇનને ભારે આઘાત લાગ્યો. ૧૬મી નવેમ્બર ૧૯૫૪માં લખેલા પત્રમાં તેમણે  ખૂબ દુઃખ પ્રકટ કર્યું, હું મારા જીવનમાં એક મોટી ભૂલ કરી બેઠો. મેં રાષ્ટ્રપતિ રુઝવેલ્ટને પરમાણું બોમ્બ બનાવવાની સલાહ આપતા પત્ર પર હસ્તાક્ષર કર્યા. જોકે ત્યારે મેં એવું ન કર્યું હોત તો ક્યારેક ને ક્યારેક જર્મની એવો બોમ્બ બનાવી લેત.

૧૦મી એપ્રિલ ૧૯૫૫ના રોજ વિશ્વના સર્વશ્રેષ્ઠ ૧૦ વિજ્ઞાાનીઓએ મળીને રસેલ-આઇન્સ્ટાઇન મેનિફેસ્ટો બહાર પાડયો. તેમાં આખી દુનિયાને નિઃશસ્ત્રિકરણ માટે અપીલ કરવામાં આવી હતી. બે દિવસ બાદ ઈઝરાયલનો સ્વતંત્રતા દિવસ હતો. તેના ઉપલક્ષમાં તેઓ એક ભાષણ લખી રહ્યા હતા. અચનાક તેમની તબિયત લથડી. ૧૫મી એપ્રિલે તેમને પ્રિન્સ્ટનની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૧૮મી એપ્રિલે ૭૬ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ૧૪મી માર્ચ ૧૯૭૯ના દિવસે તત્કાલીન જર્મન સામ્રાજ્યના ઉલ્મ શહેર ખાતે શરૂ થયેલું ચક્ર પૂરું થઈ ગયું.

શબ પરીક્ષક ડૉક્ટરે અભ્યાસ અર્થે આઇન્સ્ટાઇનની આંખો અને મસ્તિષ્ક કાઢી લેવાની પરવાનગી માગી. પરિવારે આપી. અભ્યાસ દરમિયાન તેમના મગજની રચનામાં એવું કશું જ વિશેષ જોવા મળ્યું નહોતું જે બીજાના મગજમાં ન હોય. તેમના મગજનો મોટો હિસ્સો શિકાગોના નેશનલ મ્યુઝિયમ ઑફ હેલ્થ એન્ડ મેડિસિન ખાતે આજે પણ જોઈ શકાય છે.

આઇન્સ્ટાઇનના મગજમાં કેટલીક એવી ચીજો હતી જે આજે બહુ ઓછા લોકોના મગજમાં જોવા મળે છે. મહાત્મા ગાંધીના અહિંસાવાદી સિદ્ધાંતો માટેની પ્રિતિ, વિજ્ઞાાન માટેની પ્રિતિ, ધર્મની સીમા ઓળંગીને મનુષ્ય માત્રને ચાહવાની ભાવના.

દર્શન
અલ્બર્ટ આઇન્સ્ટાઇનની ચૂંટેલી સૂક્તિઓ

- માનવ બુદ્ધિની સૌથી મોટી શોધ કઈ છે? ચક્રવૃદ્ધિ વ્યાજ.

- મેધાવી લોકો ભાગ્યે જ નિયમબદ્ધ હોય છે, નિયમબદ્ધ લોકો ભાગ્યે જ મેધાવી.

- જે ચકિત અથવા ચમત્કૃત નથી થતો અને આદરભાવથી નતમસ્તક નથી થતો તેનો આત્મા મરી ચૂક્યો છે.

- ધર્મ વિનાનું વિજ્ઞાાન પાંગળું છે, વિજ્ઞાાન વગરનો ધર્મ અંધ.

- ઈશ્વરને આપણી ગાણિતિક સમસ્યાઓની ચિંતા નથી. તેના સરવાળા-બાદબાકી અનુભવ સિદ્ધ હોય છે.

- વ્યક્તિ શાળામાં જે ભણી હતી તે બધું ભૂલી જાય પછી જે બચી રહે એ જ છે શિક્ષણ.

- તર્કબુદ્ધિ તમને એથી બી સુધી પહોંચાડે છે. કલ્પના શક્તિ દરેક જગ્યાએ લઈ જાય છે.

- આપણે એ હકીકત નકારી ન શકીએ કે આપણી દરેક પ્રક્રિયાનો સમગ્રતા પર પ્રભાવ પડે છે. (બહુ ઝીણી વાત છે.)

- જો ઈશ્વરે સૃષ્ટિની રચના કરી હશે તો એ વાતની પરવા નહીં જ કરી હોય કે માણસ એને સમજી શકે.

- આપણી બધી ગણતરીઓ ખોટી પુરવાર થાય એને આપણે યોગાનુયોગ કહી દઈએ છીએ.

- બ્રહ્માંડ વિશેનું સૌથી વણઉકેલ્યું રહસ્ય એ જ છે કે આપણે તેને ઉકેલી શકીએ છીએ.

આજની નવી જોક

છગન (મગનને): વાઇ-ફાઈનો પાસવર્ડ શું છે?

મગનઃ સ્મશાન યાત્રામાં આવ્યો છો. કંઈક તો શરમ કર.

છગનઃ એસ કેપિટલ કે સ્મોલ?

મગનઃ હેં!?

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો