જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફલા પાસે કારમાં સિલિન્ડર બ્લાસ્ટ


વિસ્ફોટે પુલવામા હુમલાની યાદ તાજી કરી, કાફલામાં ૧૦થી વધુ વાહનો પસાર થઇ રહ્યા હતા

નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર

પુલવામા હુમલાના દોઢ મહિના બાદ જમ્મુ-શ્રીનગર હાઇવે પર ફરી વિસ્ફોટ થયો છે. વિસ્ફોટથી થોડે દુર સીઆરપીએફનો એક કાફલો પસાર થઇ રહ્યો હતો, જેને પગલે સીઆરપીએફના એક વાહનને પણ નુકસાન થયું હતું.

વિસ્ફોટ એક કારમાં થયો હતો, જેને પગલે કારના ટુકડે ટુકડા થઇ ગયા હતા. જોકે આ કારનો ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. આ ઘટનામાં કોઇ જ જાનહાની નથી થઇ પણ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. 

સવારે ૧૦.૩૦ કલાકે અહીંના રામબાન જિલ્લામાં આવેલી જવાહર ટનલ પાસે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ૧૪મી ફેબુ્રઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જે હુમલો થયો હતો તેની યાદ ફરી તાજી થઇ ગઇ હતી, જેમાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા.

શનિવારની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ થઇ ગઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુંડાઇ સેન્ટ્રો કાર હતી અને તેમાં બે ગેસ સિલિન્ડર ફાટયા હતા. જેને પગલે ગાડીના ચીથરા ઉડી ગયા હતા. 

આગ લાગવાથી સિલિન્ડર ફાટયા હોઇ શકે છે. જોકે કારમાં કોઇ કોણ સવાર હતું તેની માહિતી મળી શકી નથી. સીઆરપીએફનો જે કાફલો પસાર થઇ રહ્યો હતો તેને આ કારનો એક ભાગ ટકરાયો હતો.

તે સમયે કાફલામાં આશરે ૧૦ જેટલા વાહનો હતા. જોકે કોઇ જાનહાની નથી થઇ. રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ સિલિન્ડરને કારણે થયો છે તેમ છતા કઇ કહી શકાય તેમ નથી. આતંકીઓ પણ વિસ્ફોટ પાછળ જવાબદાર હોઇ શકે છે.

Comments