ભાજપ અને ડાબેરીઓએ કહ્યું કે, રાહુલ ગાંધીને હારવાની બીક લાગે છે

નવી દિલ્હી,તા. 31. માર્ચ 2019 રવિવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચૂંટણીમાં અમેઠી ઉપરાંત કેરાલાની વાયનાડ બેઠક પરથી લડવાના કરેલા નિર્ણય બાદ રાજકીય મોરચે ગરમાવો છે.

ભાજપની સાથે સાથે હવે તો ડાબેરીઓએ પણ તેના પ્રત્યાઘાત આપતા કહ્યુ છે કે, રાહુલ ગાંધી ડરી ગયા છે અને તેના કારણે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

સીપીએમ નેતા પ્રકાશ કરાતે કહ્યુ હતુ કે, કોંગ્રેસ ડરેલી છે.માટે જ કોંગ્રેસ અધ્યક્ષે વાયનાડ બેઠકની પસંદ કરી છે પણ સીપીએમ રાહુલ ગાંધીને હરાવી દેશે.આનો અર્થ છે કે, કોંગ્રેસ દ્વારા ડાબેરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પણ અમે પૂરજોશમાં રાહુલ ગાંધીનો વિરોધ કરીને તે આ બેઠક પરથી હારે તે જોઈશું.

ભાજપે પણ નિવેદન આપતા કહ્યુ છેકે, અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની લોકપ્રિયતા જોઈને ડરેલા રાહુલે કેરાલાનો સહારો લીધો છે.

Comments