આસામ પોલીસે અલ કાયદા સાથે જોડાયેલા 34 લોકોની ધરપકડ કરી


- રાજ્યમાં કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને ધર્માંધતા ફેલાવવા માટે યુવાનોનો ફાયદો ઉઠાવી રહ્યા છે: આસામ DGP

ગુવાહાટી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર

મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, આસામ ઝડપથી જિહાદી ગતિવિધિઓનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે, જિહાદી વિચારધારા આતંકવાદી અને ઉગ્રવાદી ગતિવિધિઓથી અલગ અને ખતરનાક છે. આ દરમિયાન હવે રાજ્યની પોલીસે 34થી વધુ લોકોને આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા હોવાના આરોપમાં ધરપકડ કરી છે. 

આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પોલીસે રાજ્યમાં અલ-કાયદા સાથે સબંધિત 34થી વધુ લોકોની ધરપકડ કરી છે. આસામના DGP ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું કે, 'અલ-કાયદા સાથે જોડાયેલા 34થી વધુ લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આસામ પોલીસ આવા ષડયંત્રોને સફળ થવા દેશે નહીં. બાંગ્લાદેશીઓ દ્વારા કેટલાક આર્મી તાલીમ શિબિરો સ્થાપવામાં આવી છે.'


આસામના DGPએ એમ પણ કહ્યું કે રાજ્યમાં કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને ધર્માંધતા ફેલાવવા માટે યુવાનોનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, 'આસામમાં મદરેસાઓના વિવિધ પ્રકારના જૂથો છે. કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને ફાયદો ઉઠાવી રહ્યા છે. આસામ બહારથી ષડયંત્રરચી રહ્યા છે. હાલમાં બાંગ્લાદેશ અને અલ-કાયદા સાથે જોડાયેલા જૂથો કટ્ટરવાદ ફેલાવવા માટે યુવાનોને પ્રભાવિત કરી રહ્યા છે.'

Comments