ખેડૂતો તો અભણ છે, દિલ્હી આવવાના માર્ગની પણ ખબર નથી: ખેડૂત નેતા રાકેશ ટીકૈત

- ઝંડો ફરકાવવા અમે તેમને ડંડા લાવવાનું કહ્યું હતું
નવી દિલ્હી તા.27 જાન્યુઆરી 2021 બુધવાર
હા, એ વાત સાચી કે અમે તેમને ડંડા લાવવાનું કહ્યું હતું. પણ એ તો એટલા માટે કે ઝંડા ફરકાવી શકાય. ડંડા વગર ઝંડા કેવી રીતે ફરકાવી શકાય એવો સવાલ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યો હતો.
મંગળવારે 26મી જાન્યુઆરીએ દેશની રાજધાની નવી દિલ્હીમાં ટ્રેક્ટર રેલીના બહાને આચરવામાં આવેલી ખોફનાક હિંસા અને તોડફોડ દરમિયાન અદ્રશ્ય રહેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મંગળવારે મોડી સાંજે મિડિયા સમક્ષ ગલ્લાંતલ્લાં કરતાં એવો દાવો કર્યો હતો કે ખેડૂતો તો બિચારા અભણ છે. એમને દિલ્હી આવવાના રસ્તાનીય જાણ નથી.
સોશ્યલ મિડિયા પર ફરતા થયેલા એક વિડિયોમાં રાકેશ ટીકૈત પોતાના ટેકેદારોને પ્રજાસત્તાક દિને શસ્ત્રસજ્જ થઇને આવવાની હાકલ કરે છે એ વિશે મિડિયાએ પૂછેલા સવાલના જવાબમાં ટીકૈતે એવો દાવો કર્યો હતો કે હથિયાર કહેવા પાછળ મારો મતલબ લાકડીઓ લાવવાનો હતો. કાઠી વિના કોઇ પણ ધ્વજ ફરકે શી રીતે. એટલે મેં લાકડીઓ લાવવાની સલાહ આપી હતી.
ટીકૈતે એવો દાવો કર્યો હતેા કે ટ્રેક્ટર તો અભણ ખેડૂતો ચલાવી રહ્યા હતા. એમને દિલ્હી આવવાનો રસ્તો પણ ખબર નહોતી. વહીવટકર્તાઓએ એ લોકોને દિલ્હી આવવાના રસ્તા દેખાડ્યા હતા. એમાંના કેટલાક ભૂલથી લાલ કિલ્લા તરફ ચાલ્યા ગયા હતા. તેમને પોલીસે પાછા કાઢ્યા હતા.
દરમિયાન આજે બુધવારે સવારે પોલીસે વીઆઇપી ઝોન તરફ જવાના તમામ માર્ગો બંધ કરી દીધા હતા. ઇન્ડિયા ગેટ, પ્રગતિ મેદાન, મંડી હાઉસ, આઇટીઓ અને કનોટ પ્લેસ તરફ જતા બધા માર્ગો બંધ કરી દેવાયા હતા. નેશનલ હાઇવે નંબર નવ અને નેશનલ હાઇવે 24 પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ માહિતી ટ્વીટર પર જાહેર કરી હતી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું હતું. દિલ્હીના સીમાડે આજે સવારે પણ સંખ્યાબંધ ટ્રેક્ટર ઊભેલા જોઇ શકાતા હતા.
Comments
Post a Comment