પશ્ચિમ નેપાળની સાથે ભારતના દેહરાદૂનમાં પણ ભૂકંપનું મોટું જોખમ


- નેપાળ ભૂકંપની દ્રષ્ટિએ 11મો સૌથી ખતરનાક દેશ

- યુરેશિયન પ્લેટોના ઘર્ષણથી 520 વર્ષથી ધરતીની અંદર એકત્ર થયેલી એનર્જી ભૂકંપથી જ બહાર નિકળશે

કાઠમંડુ : નેપાળમાં શુક્રવારે આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. ભૂકંપના આંચકાના કારણે પશ્ચિમી નેપાળમાં અનેક ઈમારતો તૂટી પડી. ભૂકંપ વિજ્ઞાાનીઓનું કહેવું છે કે ખતરનાક હિમાલયી ભૂકંપીય ક્ષેત્ર પર સ્થિત નેપાળમાં વારંવાર ભૂકંપ આવવાની સંભાવનાઓ છે અને પશ્ચિમ નેપાળમાં ભૂકંપનું સૌથી વધુ જોખમ છે. વધુમાં નેપાળમાં વારંવાર આવતા ભૂકંપથી ભારતમાં દેહરાદૂન પર પણ મોટું જોખમ છે. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ નિરીક્ષણ અને સંશોધન કેન્દ્રના વરિષ્ઠ ભૂકંપ વિજ્ઞાાની ભરત કોઈરાલાએ કહ્યું કે, લાંબા સમયથી ધરતીની અંદર સક્રિય યુરેશિયન પ્લેટો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, જેથી જબરજસ્ત એનર્જી એકત્ર થઈ ગઈ છે. નેપાળ આ બે પ્લેટોની સરહદ પર સ્થિત છે. તેથી તે સૌથી વધુ સક્રિય ભૂકંપીય ક્ષેત્રમાં આવેલું છે. પરિણામે નેપાળમાં વારંવાર ભૂકંપ આવી રહ્યા છે. આ વર્ષે નેપાળમાં અંદાજે ૭૦થી વધુ ભૂકંપ આવ્યા છે. નેપાળ ભૂકંપની દૃષ્ટિએ દુનિયાનો ૧૧મો સૌથી ખતરનાક દેશ છે.

કોઈરાલાએ ઉમેર્યું કે, પશ્ચિમી નેપાળમાં ભૂકંપનું સૌથી વધુ જોખમ છે. છેલ્લા ૫૨૦ વર્ષથી પશ્ચિમી નેપાળમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. તેથી યુરેશિયન પ્લેટોના ઘર્ષણથી ઘણી બધી એનર્જી જમા થઈ ગઈ છે. આ એનર્જીને મુક્ત કરવાનો એકમાત્ર માર્ગ ભૂકંપ છે. પશ્ચિમ નેપાળના ગોરખા જિલ્લાથી લઈને ભારતના દેહરાદૂન સુધી ટેક્ટોનિક હલચલના કારણે આ એનર્જી જમા થઈ છે. તેથી આ ક્ષેત્રોમાં નાના-મોટા ભૂકંપ આવી રહ્યા છે. ભૂકંપ વિજ્ઞાાનીઓના જણાવ્યા મુજબ દુનિયાની સૌથી નવી પર્વતમાળા હિમાલય છે. તેના દક્ષિણ છેડા પર તિબેટ અને ભારતીય મહાદ્વિપની પ્લેટના ઘર્ષણના પરિણામે યુરેશિયન પ્લેટ ઉપર ઉઠી રહી છે અને સદીઓથી ટેક્ટોનિક રૂપે વિકસિત થઈ રહી છે. આ પ્લેટ દર ૧૦૦ વર્ષમાં બે મીટર આગળ ખસી રહી છે, જેથી ધરતીની અંદર એક્ટિવ એનર્જી અચાનક રિલીઝ થઈ જાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો