દિલ્હીની વાત - ટ્રિપલ તલાક રાજ્યસભામાં અટકી જશે
ટ્રિપલ તલાક રાજ્યસભામાં અટકી જશે
નવી દિલ્હી,તા. 29 ડિસેમ્બર 2018, શનિવાર
લોકસભામાં ભલે ટ્રિપલ તલાક અને ટ્રાન્સજેન્ડર બિલો પાસ કરી દેવાયા હોય, પરંતુ આગામી સપ્તાહે જ્યારે રાજયસભામાં આ બિલ રજૂ કરાશે ત્યારે ભાજપ સરકારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ૨૪૪ સભ્યો ધરાવતી રાજ્યસભામાં ભાજપની બહુમતી નથી. વિરોધ પક્ષોની સંખ્યા ખૂબ જ અસરકારક ૧૧૬ની છે. ભૂતકાળની ેજમ આ વખતે પણ એઆઇડીએમકે વિરોધ પક્ષોને જ ટેકો આપશે કારણ કે તેમનું કહેવું છે કે બંને બિલને પસંદગી સમિતિને મોકલી આપવા જોઇએ.
સરકાર બિન એનડીએનો ટેકો લેશે
સરકાર ભલે બિન એનડીએ પક્ષોનો ટેકો લેવા પ્રયાસો કરશે, પણ વિરોધ પક્ષો એ બંને ગૃહોના સંયુક્ત સત્ર બોલાવવાનો વિકલ્પ નહીં જ આપે. તેઓ ટ્રિપલ તલાક બિલને પરાસ્ત કરવાને બદલે તેને વધુ સ્ક્રુનીટી માટે પસંદગી સમિતિને રેફરન્સ માટે મોકલવાનું પસંદ કરશે. રસપ્રદ વાત એ છે કે લોકસભામાં એનડીએના સાથી જદયુએ ટ્રિપલ તલાકની તરફેણમાં મતા આપ્યો નહતો. લોકસભામાં જદયુના માત્ર બે સભ્યો છે જ્યારે ઉપલા ગૃહ રાજ્યસભામાં છ સાસંદો છે.
અપના દલ-ભાજપ વચ્ચેના સબંધોમાં કડવાશ
હજુ તો બે દિવસ પહેલા જ ભાજપના સાથી પક્ષ અપના દલના વડા આશીષ પટેલે ભાજપના મોટાભાઈ જેવા વલણની ટીકા કરી હતી અને હવે તેમના પત્ની તેમજ કેન્દ્રમાં એક પ્રધાન અનુપ્રિયા પટેલે તેમને ટેકો આપ્યો હતો. હવે નવી વાત એ સામે આવી છે કે અપના દલ ઉત્તર પ્રદેશમાં લોકસભાની દસ બેઠકો પર ચૂંટણી લડશે જેમાં વડા પ્રધાન મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે. પટેલે આ નિવેદન મોદીની વારાણસી અને ગાઝીપુરની મુલાકાત પહેલાં કર્યો હતો અને ભાજપની ઉંઘ હરામ કરી છે.
ભાજપ કદાચ શત્રુઘ્ન સિંહાને કાપશે
સ્ત્રોતોમાંથી મળતી પાકી માહિતી મુજબ આ વખતે ભાજપ પટણાના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાને ફરીથી ચૂંટણી નહીં લડાવે. ઉપરાંત એક અન્ય બળવાખોર સાસંદ ક્રિકેટર કિર્તી આઝાદને પણ મેદાનમાં નહીં ઉતારે. આઝાદને તો પક્ષમાં પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ પણ ભાજપે જદયુને પાંચ વધુ બેઠકો પ્લેટમાં આપી જ દીધી છે અને પોતાના પાંચ સાસંદોને નારાજ કર્યા હતા.
કોંગ્રેસ સાથે સમાધાન મુદ્દે 'આપ'નું મૌન
'આપ' દ્વારા હજુ પણ કોંગ્રેસ અને ભાજપ પર પ્રહારો કરવામાં આવે છે. ભાજપ પર ખેડૂતો સાથે દગો કર્યો હોવાનો આરોપ મૂકે છે તો કોંગ્રેસ પર ખેડૂતોની લાન માફી અંગે ટીકા કરે છે. પરંતુ કોંગ્રેસ સાથે સમાધાન અંગે તે મૌન છે.'અમે દેશમાં બની રહેલી રાજકીય ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. સમય આવે ત્યારે અમે અંતિમ નિર્ણય લઇશું, એમ આમ આદમી પાર્ટીના કન્વીનર ગોપાલ સિંહે કહ્યું હતું.
- ઇન્દર સાહની
Comments
Post a Comment