મહારાષ્ટ્રમાં મેલોડ્રામાં : આજે 10-30 કલાકે સુપ્રીમ ચૂકાદો આપશે

નવી દિલ્હી, તા. 25 નવેમ્બર, 2019, સોમવાર
મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા અજિત પવારના ટેકાથી સરકાર બનાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે રવિવાર બાદ સોમવારે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જોકે એવી શક્યતાઓ હતી કે સુપ્રીમ કોર્ટ વિશ્વાસ મત પ્રક્રિયા હાથ ધરવા માટે આદેશ આપી શકે છે પણ હવે સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. જેથી મંગળવારે સુપ્રીમ કોર્ટ કોઇ આદેશ આપે તેવી શક્યતાઓ છે.
જોકે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે એક નવો જ ખુલાસો થયો હતો. સુપ્રીમ કોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે ફડણવીસ સરકાર પાસે 30મી નવેમ્બર નહીં પણ સાત ડિસેમ્બર સુધીનો સમય છે.
અગાઉ એવા અહેવાલો હતા કે 30મી નવેમ્બર સુધીમાં વિશ્વાસમત પ્રક્રિયા હાથ ધરવાનો સમય ફડણવીસ સરકારને રાજ્યપાલે આપ્યો હતો, જોકે હવે સુપ્રીમ કોર્ટમાં એવો ખુલાસો થયો છે કે 30મી નવેમ્બર નહીં પણ સાતમી ડિસેમ્બર સુધીનો સમય પડણવીસ સરકાર પાસે છે.
આ જાણકારી ફડણવીસ વતી દલિલો કરી રહેલા વકીલ મુકુલ રોહતગીએ આપી હતી. રોહતગીએ જણાવ્યું હતું કે રાજ્યપાલે ફડણવીસ સરકારને બહુમત માટે 23મી તારીખે 14 દિવસનો સમય આપ્યો હતો, તેથી 7 ડિસેમ્બર સુધી તેમની પાસે સમય છે.
દરમિયાન જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે એનસીપી અને કોંગ્રેસ વતી અભિષેક સિંઘવીએ વારંવાર વહેલા વિશ્વાસમત પ્રક્રિયાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો બન્ને પક્ષો વિશ્વાસમત માટે તૈયાર જ હોય તો પછી વહેલા વિશ્વાસમત પ્રક્રિયા કેમ હાથ નથી ધરાઇ રહી, કેમ મોડુ કરવામાં આવી રહ્યું છે?
સિંઘવીએ એનસીપીના 48, શિવસેનાના 56 અને કોંગ્રેસના 44 ધારાસભ્યોનું સમર્થન હોવાનો પત્ર કોર્ટમાં રજુ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેનો ભાજપ વતી હાજર મુકુલ રોહતગીએ વિરોધ કર્યો હતો.
બાદમાં જજે સિંઘવીને કહ્યું હતું કે જો અમે આ પત્રને સ્વીકારીશું તો અમારે ધારાસભ્યોની સાથે પણ વાત કરવી પડશે. બાદમાં સિંઘવીએ આ પત્રને પરત લઇ લીધો હતો.
જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે ભાજપ વતી તુષાર મેહતાએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઘોડાનો એક પુતો તબેલો જ ગાયબ કરી દેવામાં આવ્યો છે. જેના જવાબમાં કપિલ સિબ્બલે પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ઘોડા તો ત્યાં જ છે માત્ર ઘોડેસવાર જ ભાગી ગયો છે.
મુકુલ રોહતગીએ દાવો કર્યો હતો કે ધારાસભ્યોને હોટેલમાં બંધ કરી દેવાયા છે. બાદમાં સિબ્બલે આ દાવાઓને નકાર્યા હતા અને સાથે રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હટાવી શપથ લેવડાવવા મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી હતી.
Comments
Post a Comment