ચીનના જળપ્રલયથી ભારતનું આ રાજ્ય સંકટમાં, 2500 ગામોમાં ખતરો, આ સિઝનમાં 48 મોત


Assam Flood Reason : દેશનું આસામ રાજ્ય સૌથી ખરાબ પૂરનો સામનો કરી રહેલું રાજ્ય છે. અહીં પહેલા ચાર-પાંચ વર્ષે એક વખત પૂર આવતું હતું, જોકે હવે આસામવાસીઓ વર્ષે ત્રણથી ચાર વખત પૂરનો સામનો કરી રહ્યા છે. હાલ રાજ્યમાં પૂરના કારણે 28 જિલ્લાના 2500 ગામડાઓ જળમગ્ન થયા છે, જેના કારણે 11.34 લાખ લોકોને અસર થઈ છે. આસામ દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મપુત્રા નદીનો પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આ સિઝનમાં અત્યાર સુધી કુલ 48 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 3057 લોકો અને 419 પશુઓ અને જાનવરોને બચાવાયા છે.


આસામમાં કુલ 33માંથી 28 જિલ્લાઓ ગંભીર પૂરથી પ્રભાવિત

માત્ર આસામ જ નહીં, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને મિઝોરમ પણ હાઈએલર્ટ પર છે. આસામમાં કુલ 33માંથી 28 જિલ્લાઓ ગંભીર પૂરથી પ્રભાવિત છે. અહીં લોકોને પૂરથી બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યમાં પૂરના કારણે બરપેટા, બિશ્વનાથ, કાચર, ચરાઈદેવ, ચિરાંગ, ડરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ મેટ્રોપોલિટન, કરબી આંગલોંગ, કરીમગંજ, લખીનપુર, મજૂલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, સિવાસાગર, સોનિતપુર, તમુલપુર, તિનસુકિયા અને ઉદલગુરી જિલ્લામાં ગંભીર પરિસ્થિતિ છે.


શું આસામની ભૌગોલિક સ્થિતિ કટોરા જેવી છે?

અગાઉ આસામમાં ચાર-પાંચ વર્ષમાં એક વખત પૂર આવતું હતું, જોકે હવે દર વર્ષે ત્રણથી ચાર વખત પૂર આવે છે. અહીં સૌથી વધુ પૂર આવવાનું કારણ જાણવા માટે અહીંની જિયોગ્રાફી સમજવી જરૂરી છે. વાસ્તવમાં આસામની ભૌગોલિક સ્થિતિ કટોરા જેવી છે, જેમાં પાણી જમા થઈ જાય છે.


બે નદીઓની ખીણમાં આવેલું છે આસામ

દેશમાં આસામ એક એવું રાજ્ય છે, જે આખું નદીઓની ખીણમાં વસેલું છે. અહીંનું કુલ ક્ષેત્રફળ 78,438 વર્ગ કિલોમીટર છે, જેમાંથી 56,194 વર્ગ કિલોમીટર બ્રહ્મપુત્રા નદીની ખીણમાં અને 22,444 વર્ગ કિલોમીટર બરાક નદીની ખીણમાં છે. દર વર્ષે આસામમાં કુલ એરિયામાંથી 40 ટકા એરિયો પૂરમાં ડુબી જાય છે. આસામમાં બે મુખ્ય નદીઓ બ્રહ્મપુત્ર અને બરાક નદી આવેલી છે. આ ઉપરાંત 48 નાની-મોટી નદીઓ પણ આવેલી છે. આ જ કારણે અહીં પૂરનું સંકટ વધુ રહે છે. અહીં સામાન્ય વરસાદમાં પણ પૂરની સ્થિતિ સર્જાય છે.


બ્રહ્મપુત્ર નદીનો ફેલાવો વધ્યો

બ્રહ્મપુત્ર નદી આસામમાં દર વર્ષે પગપેસારો કરી રહી છે, અહીં તેનો કવર એરિયા દર વર્ષે વધી રહ્યો છે. આસામ સરકારના ડેટા મુજબ 1912-1928 વચ્ચે બ્રહ્મપુત્રા નદીનો કવર એરિયા 3870 વર્ગ કિલોમીટર હતો. જે 1963-1975ની વચ્ચે વધીને 4850 વર્ગ કિલોમીટર થયો, ત્યારબાદ 2006માં વધીને 6080 વર્ગ કિલોમીટર થઈ ગયો છે. આમ આસામ પર દર વર્ષે સંકટ વધતું જઈ રહ્યું છે. બ્રહ્મપુત્રા નદીની સરેરાશ પહોંળાઈ છ કિલોમીટર છે, જ્યારે આસામમાં કેટલાક વિસ્તારોમાં તેની પહોંળાઈ 15 કિલોમીટર સુધીની છે.


ચીનથી આવેલા જળપ્રલયથી સંકટમાં મુકાયું આસામ

બ્રહ્મપુત્રા નદી ભારત અને ચીનની વચ્ચે આવેલા તિબેટથી લઈને બાંગ્લાદેશ સુધી ફેલાયેલી છે. આ નદી વિવિધ દેશો અને રાજ્યોમાંથી પસાર થાય છે. નદીની શરૂઆત તિબેટના ઠંડા પહાડોથી થાય છે, ત્યારબાદ વરસાદી હિમાલયનો વિસ્તાર આવે છે, પછી તે આસામની ખેતીવાળી જમીનોથી પસાર થઈ બાંગ્લાદેશના મોટા ડેલ્ટાવાળા મેદાન સુધી પહોંચે છે. તિબેટમાં બ્રહ્મપુત્રાને યારલંગ સાંગપો કહે છે. આ નદી કૈલાશ રેંજના Konggyu Tsho ખીણ પાસેના દક્ષિણથી 5150 મીટરની ઊંચાઈએથી પસાર થાય છે. ઊંચાઈને કારણે ઉત્તરીય વિસ્તારોમાં હંમેશા બરફ રહે છે.

આ પણ વાંચો : 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, આસામમાં પૂરથી સ્થિતિ વણસી


બ્રહ્મપુત્રા નદીની લંબાઈ 2900 કિમી

બ્રહ્મપુત્રા નદીની લંબાઈ 2900 કિલોમીટર છે, જેમાંથી માત્ર 916 કિલોમીટરનો ભાગ ભારતની અંદર આવેલો છે. નદીનો જે ભાગ ભારતની બહાર આવેલો છે, તે સંપૂર્ણ બરફથી ઢંકાયેલો છે. દેશની અંદરથી પસાર થતી આ નદી છેલ્લે બંગાળની ખાડીમાં ભળી જાય છે. આ નદીની ઉપર ડઝથી વધુ બંધો બંધાયેલા છે અને બેરેજો પણ આવેલા છે.

આ પણ વાંચો : ભાજપના ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડયા, બે વરસાદમાં 10,000 કરોડ ધોવાઈ ગયા!

આસામમાં વર્ષમાં પડે છે 400 મીમી વરસાદ

બ્રહ્મપુત્રા ખીણમાં ઘણી નદીઓ વહે છે, જે બ્રહ્મપુત્રા નદીને મળે છે. આ છે - લોહિત, દિબાંગ, સુબાનસિરી, જિયાભારાલી, ધનસિરી, માનસ, તોરસા, સંકોશ, તિસ્તા, બુધિધિંગ, દેસાંગ, દિખોવ અને કોપિલી. બ્રહ્મપુત્રા નદીની ખીણ ઘણી ઠંડી અને તિબેટના વિસ્તારમાં સૂકી ઠંડી છે. આસામમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન અહીં 400 મીમી વરસાદ પડે છે. આસામમાં પૂરના કારણે દર વર્ષે ઘણાના મોત થાય છે. આઝાદી બાદ અહીં 1954, 1962, 1972, 1977, 1984, 1988, 1998, 2002, 2004 અને 2012માં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં દર વર્ષે સરેરાશ 200 કરોડથી વધુનું નુકસાન થાય છે. 1998માં 500 કરોડ અને 2004માં પૂરના કારણે 770 કરોડનું નુકસાન થયું હતું.

આ પણ જુઓ : VIDEO: બદ્રીનાથમાં અલકનંદાનું રૌદ્ર સ્વરૂપ, નદીનું જળસ્તર વધતા જ પોલીસે ખાલી કરાવ્યો વિસ્તાર

આસામમાં પૂરનું મુખ્ય કારણ શું છે?

1... સામાન્યથી વધુ વરસાદ : બ્રહ્મપુત્રા બોર્ડના જણાવ્યા મુજબ, આસામમાં દર વર્ષે સામાન્યથી 248થી 635 સેન્ટીમીટર વરસાદ પડે છે. અહીં દર કલાકે 40 મીમી વરસાદ આવે છે. ઘણી વખત એવું પણ બને છે કે, અહીં એક દિવસમાં 500 મીમીથી વધુ વરસાદ ખાબકે છે.

2... રહેવા માટે ઓછી જગ્યા : જે ખીણમાંથી બ્રહ્મપુત્રા નદી પસાર થાય છે તે ખૂબ જ સાંકડી છે. જ્યારે બ્રહ્મપુત્રા નદી ઘણા કિમી સુધી ફેલાયેલી છે. બંને બાજુ જંગલો છે. નીચાણવાળા વિસ્તારોમાં ખેતી થાય છે. આવી સ્થિતિમાં અહીં રહેવા માટે જગ્યા ઓછી છે. જ્યારે નદી ઉપરથી નીચેના વિસ્તારોમાં વહે છે, ત્યારે તે પૂરની સ્થિતિ સર્જાય છે.

3... વસ્તીની ગીચતામાં વધારો : ઓછી જગ્યામાં વધુ લોકો રહેતા હોવાથી પૂરનું જોખમ પણ વધી ગયું છે. 1940-41માં અહીં દર કિલોમીટરમાં 9થી 29 લોકો રહેતા હતા, જોકે હવે દર કિલોમીટરે લગભગ 200 લોકો રહે છે.

આ પણ વાંચો : દેશમાં ચોમાસુ સક્રિય, જૂનમાં 11 ટકા ઓછો વરસાદ અને જુલાઈમાં ભારે પૂરની આગાહી

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો