દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું : સાત મહિનાના સૌથી વધુ 7830 કેસ

- વધુ 17નાં મોત, એક્ટિવ કેસો વધીને 40,215
- મ્યુટેડ સબ વેરિઅન્ટ એક્સબીબી.1.16.1 13 રાજ્યોમાં પ્રસર્યો : 234 કેસ સપાટી પર આવ્યા
- આગામી 10 થી 12 દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધશે અને ત્યારબાદ ઘટવા લાગશે
- કોરોના અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે : સત્તાવાર સૂત્રો
નવી દિલ્હી : ભારતમાં આજે કોરોનાના નવા ૭,૮૩૦ કેસ નોંધાયા છે. જે છેલ્લા ૨૨૩ દિવસના સૌથી વધુ દૈનિક કેસો છે. આ માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જણાવે છે કે આ સાથે એક્ટિવ કેસો પણ વધી ગયા છે તેનો આંક ૪૦,૦૦૦ વટાવી ચુક્યો છે. દેશમાં અત્યારે ૪૦,૨૧૫ એક્ટિવ કેસ છે. દૈનિકે પોઝિટિવીટી રેટ ૩.૬૫% છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવીટી રેઇટ ૩.૮૩% નોંધાયો છે.
દેશમાં વધુ ૧૬ મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૧,૦૧૬ થઇ ગયો છે. દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં બે-બે મોત, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં એક-એક તથા કેરળમાં અગાઉના પાંચ મોત નોંધવામાં આવ્યા છે.
આ પૂર્વે મંગળવારે દેશમાં ૫,૬૭૬ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે ૨૧નાં મૃત્યુ થયાં છે. મંગળવાર કરતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૫૪ વધુ કેસ નોંધાયા છે.
દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૪,૪૭,૭૬,૦૦૨ કેસ નોંધાયા છે. એક જ દીવસમાં બુધવારે ૭,૮૩૦ નવા કેસ નોંધાયા છે. આ અગાઉ ગયા સપ્ટેમ્બરની પહેલી તારીખે ૭૯૪૬ કેસ નોંધવામાં આવ્યા હતાં.
કોરોનાના ૭,૮૩૦ નવા કેસો આજે નોંધાતાં દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૪૭,૭૬,૦૦૨ પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૪૦,૨૧૫ પહોંચી છે. જો કે કોરોનામાંથી સાજા થયેલાઓની સંખ્યા ૪,૪૨,૦૪,૭૭૧ પહોંચી છે. એટલે કે, રીકવરી રેટ ૯૮.૭૨ ટકા થયો છે. દરમિયાન આજે ૧૬ નવાં મૃત્યુ નોંધાતાં, કુલ મૃત્યુ આંક ૫,૩૧,૦૧૬ પહોંચ્યો છે. આ રીતે જોતાં મૃત્યુદર ૧.૧૯ ટકા પહોંચ્યો છે.
ભારતમાં મ્યુટેડ સબ વેરિએન્ટ એક્સબીબી.૧.૧૬.૧ના ૨૬૪ કેસ સપાટી પર આવ્યા છે. આ વેરિઅન્ટ ૧૩ રાજ્યોમાં પ્રસરી ગયો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આગામી ૧૦ દિવસોમાં કોરોનાના કેસો ઝડપથી વધશે જો કે ત્યારબાદ કેસો ઝડપથી ઘટશે.
સત્તાવાર સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં કોરોના અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. આગામી ૧૦ થી ૧૨ દિવસમાં કેસો ઝડપથી વધશે અને ત્યારબાદ ઘટવા લાગશે.
સિરમ ઇન્સ્ટીટયૂટે કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન ફરી શરૂ કર્યુ
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ-૧૯ વેક્સિન કોવિશિલ્ડનું ઉત્પાદન ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ સિરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ)ના સીઇઓ અદાર પુનાવાલાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપની પાસે કોવોવેક્સ વેક્સિનના ૬૦ લાખ બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ છે અને પુખ્ત વયના લોેકોએ આ બુસ્ટર ડોઝ લેવો જોઇએ. કોરોના વેેક્સિનની અછત અંગે પૂછાયેલા પ્રશ્રના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદકો તૈયાર છે પણ સામે માગ નથી. ઉલ્લેખનીય છે કે કંપનીએ ડિસેમ્બર, ૨૦૨૧માં કોવિશિલ્ડનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.
Comments
Post a Comment