સચિન પાયલોટના ઉપવાસ : અશોક ગેહલોતનો રાજસ્થાન જોગ સંદેશો

- રાજસ્થાન કોંગ્રેસમાં વમળો
- રાજસ્થાનમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા મહાત્માજીની સ્મૃતિનાં શહીદ સ્મારક સ્થળે સચિનનો એક દિવસનો ઉપવાસ
જયપુર : પોતાના જ પક્ષની સરકાર વિરૂદ્ધ કોંગ્રેસના નેતા સચિન પાયલોટ આજે એક દીવસના ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. ત્યારે કોંગ્રેસ પક્ષે તેઓને પાર્ટી વિરૂદ્ધની કાર્યવાહી બદલ ચેતવણી પણ આપી દીધી છે.
મહાત્માજીની સ્મૃતિમાં અહીં રચાયેલાં શહીદ સ્મારક સ્થળે ઉપવાસ ઉપર ઉતરેલા પાયલોટનું નિશાન તો પક્ષમાં જ રહેલા તેમના પ્રતિસ્પર્ધી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે. તેમની ઉપર પાયલોટનો આક્ષેપ છે કે તેઓ ભાજપનાં નેતા વસુંધરા રાજે સામે શા માટે પગલાં લેતા નથી ?
આ સામે ગેહલોત સરકારે પગલાં ન લેવાયાં તેવા આક્ષેપને સ્પષ્ટ રદીયો આપ્યો હતો. સહજ છે કે આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડયા જ હોય તેથી રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને સુધારો આપતાં કહ્યું હતું કે પક્ષમાં તેના નાના મોટા મતભેદો તો રહે જ. દરેક પક્ષમાં રહે. પરંતુ આપણે બધાએ એક રહી જમણેરી પરિબળો (ભાજપ)ને પરાસ્ત કરવાં જ પડે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે સંયોગોમાં સચિન પાયલોટની આ કાર્યવાહી એ તેમની તથા મુખ્યમંત્રી વચ્ચે ચાલી રહેલી રસાકસીથી પક્ષને ભારે નુકશાન થવાની ભીતિ છે.
આ વિવાદનો અંત લાવવા કોંગ્રેસે તેના રાજસ્થાનના પ્રભારી સુખજિંદરસિંહ રંધવાને જવાબદારી સોંપી છે. તેઓ ગેહલોત પાયલોટ વચ્ચે મનમેળ સાધવા પ્રયત્નો તો કરશે જ. પરંતુ તેમાં કેટલા સફળ રહેશે તે શંકા છે.
રંધાવાએ કહ્યું હતું કે હું છેલ્લા પાંચ મહીનાથી એઆઈસીસીનો રાજસ્થાનનો પ્રભારી છું. પરંતુ તે દરમિયાન પાયલોટે કદીએ તે મુદ્દાઓ ઉપર ચર્ચા કરી જ નથી. તેમ છતાં હું તેઓના સંપર્કમાં છું અને હજી પણ અપીલ કરું છું કે તેઓ શાંત પડે અને ચર્ચા દ્વારા પ્રશ્નોનો ઉકેલ શોધે.
નીરીક્ષકો કહે છે કે પાયલોટ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની વાત કરે છે પરંતુ તેઓનું લક્ષ્ય તો મુખ્યમંત્રી પદ છે. જુઓ હવે શું થાય છે તે અત્યારે તો રાજ્ય કોંગ્રેસમાં વમળો શરૂ થઈ ગયાં છે.
Comments
Post a Comment