સ્કૂલોમાં ધાર્મિક ડ્રેસ પહેરવાની જીદ કરી શકાય નહીં : કર્ણાટક હાઈકોર્ટ


બેંગ્લુરુ, તા.૧૦
કર્ણાટકમાં ક્લાસરૂમમાં હિજાબ પહેરીને અભ્યાસ કરવાની માગ કરનારી વિદ્યાર્થિનીઓને ઝટકો આપતાં ગુરુવારે હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક ડ્રેસ પહેરવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં ડ્રેસ કોડ પર રાજ્ય સરકારના નિયમોને પડકારતી અરજીઓ પર સુનાવણી સોમવાર સુધી સ્થગિત કરી દીધી છે અને સ્કૂલ-કોલેજો ફરી ખોલવા આદેશ આપ્યો છે.
કર્ણાટકમાં હિજાબ વિવાદ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ રિતુ અવસ્થીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક ડ્રેસ પહેરવા માટે જીદ કરી શકે નહીં. જોકે, હાઈકોર્ટે આ કેસમાં ચૂકાદો આવે ત્યાં સુધી સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે પણ નિર્દેશ આપ્યા છે.
હાઈકોર્ટમાં ગુરુવારે ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ રિતુ અવસ્થી તેમજ ન્યાયાધીશ એસ. દીક્ષિત અને ન્યાયાધીશ જે.એમ. ખાજીનો સમાવેશ થાય છે. આ બેન્ચે ગુરુવારે વિવિધ અરજીઓ પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે મીડિયાને અપીલ કરી હતી કે કોર્ટના આદેશને જોયા વિના ચર્ચા દરમિયાન કોર્ટે કરેલી કોઈપણ ટીપ્પણી રિપોર્ટ ન કરવી જોઈએ. કોર્ટે ઉમેર્યું કે, સોશિયલ મીડિયા, અખબાર અથવા ક્યાયં પણ પૂરો આદેશ ન આવે ત્યાં સુધી રિપોર્ટિંગ ન થાય.
અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે કર્ણાટક શિક્ષણ કાયદામાં યુનિફોર્મ સંબંધિ કોઈ વિશેષ જોગવાઈ નથી. તેમણે જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે પહેલાના સમયમાં પણ યુનિફોર્મની જોગવાઈ નહોતી. સરકાર તરફથી એટર્નિ જનરલે કહ્યું સ્કૂલ અથવા કોલેજમાં ડ્રેસ કોડનું પાલન થવું જોઈએ. વિદ્યાર્થિનીઓને સ્કાર્ફ અથવા હિજાબ અથવા ભગવા ખેસ સાથે સ્કૂલમાં પ્રવેશ આપી શકાય નહીં. આ સારી સ્થિતિ નહીં હોય. વિદ્યાર્થીઓએ યુનિફોર્મ કોડ સાથે જ સ્કૂલોમાં આવવું જોઈએ.
કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીએ જણાવ્યું કે, અમે સ્વીકારીએ છીએ કે એજ્યુકેશન એક્ટમાં સ્કૂલ યુનિફોર્મ અંગે સ્પષ્ટપણે કશું જ કહેવાયું નથી. જોકે, અમે એ બાબત પર વિચાર કરી રહ્યા છીએ કે હિજાબ પહેરવો મૂળ અધિકારના દાયરામાં આવે છે કે નહીં. આ સિવાય એ બાબત પર પણ વિચાર કરી રહ્યા છીએ કે શું હિજાબ પહેરવો ધર્મના પાલન માટે જરૂરી ભાગ છે કે નહીં. જોકે, કર્ણાટક સરકારમાં મંત્રી બી.સી. નાગેશે કહ્યું કે સ્કૂલો ખૂલવી જોઈએ. એવું થશે તો મને ખૂબ જ આનંદ થશે. હાઈકોર્ટ દ્વારા વચગાળાનો કોઈ આદેશ અપાયો ન હોય તો કાયદાની અધિસૂચના મુજબ પ્રત્યેક સંસ્થાને પોતાનો ડ્રેસ નિશ્ચિત કરવાનો અધિકાર છે. તેના આધારે સ્કૂલો ખોલવી જોઈએ.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો