ઉ. ભારતમાં કાળઝાળ ગરમી, બંગાળમાં વરસાદ, વીજળી પડતાં બે લોકોનાં મોત

- દિલ્હીમાં તાપમાન 41 ડિગ્રી, ઉત્તર પ્રદેશમાં 43 ડિગ્રી સે.
- પૂર્વોત્તરમાં ચોમાસાનું આગમન: વાવાઝોડાના કારણે મણિપુર, બંગાળ સહિતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ ઉત્તર ભારતમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ હીટવેવની આગાહી કરી છે. બીજીબાજુ પશ્ચિમ બંગાળમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો અને વીજળી પડતા બે લોકોનાં મોત નીપજ્યાં હતા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી સુધી નોંધાયું હતું, જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં બે ડિગ્રી સે. વધુ હતું. દિલ્હીવાસીઓને હજુ કેટલાક દિવસ તીવ્ર ગરમીથી રાહત નહીં મળે. દિલ્હીમાં આકાશ સ્વચ્છ અને શુષ્ક રહેશે. રાજ્યમાં હજુ આગામી કેટલાક દિવસમાં હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે.
ઉત્તર પ્રદેશના લખનઉમાં આજે તાપમાન ૪૩ ડિગ્રી સે.ને પાર થઈ ગયું હતું. જોકે, સાંજના સમયે આકાશમાં વાદળ છવાતા ગરમી ઘટી હતી. ગાઝિયાબાદમાં પણ તાપમાન ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. પંજાબના ચંડીગઢમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી સે.ની નજીક પહોંચ્યું હતું. જાલંધરમાં પણ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું હતું.
દરમિયાન પશ્ચિમ બંગાળમાં બિપરજોય વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાએ હળવાથી ભારે વરસાદ પડતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે, વરસાદના કારણે વીજળી પડતાં કોલકાતામાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે એકને ઈજા પહોંચી હતી. રાજ્યમાં ૧૩મી જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે કહ્યું કે, પૂર્વોત્તર ભારતમાં ચોમાસાના આગમનના કારણે મણિપુર, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં અને અસમ તથા અરૂણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૧૩ જૂન પછી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Comments
Post a Comment