કોઈ બીજીવાર ‘શાહીથી હુમલો’ ન કરે તે માટે મહારાષ્ટ્રના મંત્રીએ કર્યો ગજબનો જુગાડ

Image tweeted by - Chandrakant Patil

મુંબઈ, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલ પર તાજેતરમાં જ શાહી ફેંકવામાં આવી હતી. તો હવે આવી ઘટના બીજી વાર બચવા માટે તેમણે ગજબનો જુગાડ કાઢ્યો છે. હવે ચંદ્રકાંત પાટીલ ફેસ શીલ્ડ પહેરેલા જોવા મળ્યા છે. 

વિવાદાસ્પદ નિવેદન કરનાર પાટીલ પર શાહી ફેંકાઈ હતી

ચંદ્રકાંત પાટીલે મહાત્મા ફુલે, ડૉ.ભીમરાવ આંબેડકર અને કર્મવીર ભાઊરાવ પાટીલ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જેનો જોરદાર વિરોધ થયો હતો. ત્યારબાદ પુણે પાસે પિંપરી ચિંચવડ વિસ્તારમાં સમતા સેનાના કાર્યકર્તા મનોજ ગવડેએ કેબિનેટ મંત્રી પાટીલ પર કાળી શાહી ફેંકી હતી. આરોપીએ મંત્રી પાટીલના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો હવે પિંપરી ચિંચવડ શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રકાંત પાટીલ ફેસ શીલ્ડ પહેરીને સામેલ થયા હતા.

શાહીથી બચવા ફેસ શીલ્ડ પહેર્યું ?

કહેવાઈ રહ્યું છે કે, શાહી ફેંકનારા પ્રદર્શનકારીઓથી બચવા માટે ચંદ્રકાંત પાટીલે ફેસ શીલ્ડ પહેર્યું છે. જોકે સાંગલી વિસ્તારમાં આયોજીત પવના થડી કાર્યક્રમ દરમિયાન ફેસ શીલ્ડ પહેરેલા ચંદ્રકાંત પાટીલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓ સવાલોને નજરઅંદાજ કરી જતા રહ્યા હતા.

શાહી કાંડ બાદ 10 પોલીસ અધિકારી સસ્પેન્ડ

એટલું જ નહીં ચંદ્રકાંત પાટીલ પર થયેલા શાહી હુમલા બાદ પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ મુદ્દે કથિત જવાબદાર 10 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. સાથે જ આ ઘટના મુદ્દે ત્રણ આરોપીઓને મોરવાડી કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા હતા. આ ઘટનાને લઈ આખા મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું હતું.

Comments