મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુનાવણી, EDએ પણ ધરપકડ કરી
![]() |
| Image : Twitter |
નવી દિલ્હી, 10 માર્ચ 2023, શુક્રવાર
તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીન પર આજે સુનાવણી થશે. આ પહેલા ગઈકાલે EDએ સિસોદિયાની ધરપકડ કરી છે. ED પહેલા CBIએ કથિત દારૂ કૌભાંડના સંબંધમાં તેમની ધરપકડ કરી હતી. સિસોદિયાની જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા EDએ આ કાર્યવાહી કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધરપકડ અંગે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે.
CBI બાદ હવે EDએ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. EDની ટીમ તિહાડ જેલમાં ધરપકડ માટે ઔપચારિક રીતે દસ્તાવેજી કાર્યવાહી કરી રહી છે. આ પહેલા 26 ફેબ્રુઆરીએ CBIએ દિલ્હી કથિત દારુ કેસમાં મનીષ સિસોદિયાને કસ્ટડીમાં લીધા હતા. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેને પાંચ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કેન્દ્રીય એજન્સીને વધુ બે દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગત 6 માર્ચે થયેલી સુનાવણીમાં કોર્ટે તેને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકવાનો આદેશ કર્યો હતો. તેની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી.
કેજરીવાલે કહ્યું જનતા જોઈ રહી છે
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે મનિષની પહેલા CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBIને કોઈ પુરાવા મળ્યા નથી, દરોડામાં પૈસા મળ્યા નથી. આજે જામીન પર સુનાવણી છે. મનીષ કાલે છૂટી ગયો હોત. જેથી આજે EDએ તેની ધરપકડ કરી હતી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય રોજ નવા નવા ખોટા કેસો બનાવીને મનીષને દરેક કિંમતે અંદર રાખવાનો છે. જનતા જોઈ રહી છે અને જનતા જવાબ આપશે.

Comments
Post a Comment