અમદાવાદઃ અમિત શાહે કોચરબ આશ્રમ ખાતે દાંડી સાયકલ યાત્રાનો કરાવ્યો પ્રારંભ


- ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ગાંધીજીના માર્ગે દેશ શરૂઆતથી ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત

અમદાવાદ, તા. 12 માર્ચ 2022, શનિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા. 11 માર્ચ 2022ને શુક્રવારના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આજે શનિવારે સવારના સમયે તેમણે અમદાવાદમાં પાલડી ખાતે આવેલા કોચરબ આશ્રમની મુલાકાત લીધી હતી અને દાંડી માર્ચ માટેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દાંડી સાયકલ યાત્રામાં સામેલ થતા પહેલા અમિત શાહ પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આજે 10 વર્ષ પછી હું કોચરબ આશ્રમ આવ્યો છું.

પોતાના સંબોધનમાં તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, દેશની આઝાદીની લડાઈની રણનીતિ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થઈ હતી. દાંડી માર્ચ, દાંડી યાત્રા એક એવું આંદોલન હતું કે દુનિયાભરમાં નામ કર્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દાંડીયાત્રા વખતે કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહતા તેથી ગાંધીજી જે બોલતા એ અખબારોમાં પણ છપાવવાની તાકાત ન હતી. છતાં પણ કોમ્યુનિકેશનના કોઈ પણ સાધન વગર ગાંધીજીનો બોલેલો એક એક શબ્દ લોકો સુધી પહોંચતો. ગાંધીજીમાં એક પ્રચંડ શકિત હતી. તેમણે કહ્યું કે ગાંધીજીના માર્ગે દેશ શરૂઆતથી ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત. આ ઉપરાંત તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જે નવી શિક્ષણ નીતિ લાવ્યા છે તેમાં ગાંધીજીના વિચારો સમાવી લેવામાં આવ્યા છે.

12 માર્ચ 1930ના રોજ મોહનદાસ ગાંધીએ અંગ્રેજોના મીઠા પર ટેક્સ લગાવવાના નિર્ણયના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તેના અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા દાંડી ગામ સુધીની 241 માઈલ લાંબી યાત્રા કરવામાં આવી હતી. 06 એપ્રિલ 1930ના રોજ ત્યાં પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. 

આજથી 92 વર્ષ પહેલાં 12 માર્ચના રોજ મોહનદાસ ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરીરૂપે દર વર્ષે આજની તારીખથી પ્રતિકાત્મક દાંડી યાત્રા યોજવામાં આવે છે. તેમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. ત્યારે આ વખતે પણ આવી જ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટલાક લોકો સાયકલ લઈને દાંડી સુધીની યાત્રા કરશે. ગૃહ મંત્રી અમિત શાહે 7 દિવસની આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. 



Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો