જરૂર પડશે તો કેન્ટ ખાતે સેનાના વીજળી-પાણી રોકી દેવામાં આવશે- તેલંગાણાના મંત્રી

- હકીકતે આ ટિપ્પણી તેલંગાણા સરકારના તે સેના સાથે કેવો વ્યવહાર કરે છે તે વલણને જાહેર કરે છેઃ BJP નેતા
હૈદરાબાદ, તા. 13 માર્ચ 2022, રવિવાર
તેલંગાણાના આઈટી મંત્રી અને TRSના કાર્યકારી અધ્યક્ષ કેટીઆર રાવે શનિવારે વિધાનસભામાં એક ખૂબ જ ચોંકાવનારૂં નિવેદન આપ્યું હતું. પ્રશ્નકાળ દરમિયાન તેમણે હૈદરાબાદ ખાતે રણનૈતિક નાળા વિકાસ પ્રોજેક્ટને લઈ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે સૈન્ય ક્ષેત્રને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું.
કેટીઆર રાવે કહ્યું હતું કે, 'અમે જ્યારે જરૂર લાગશે ત્યારે કેન્ટ ક્ષેત્ર સીમાની અંતર્ગત વીજળી અને પાણીનો સપ્લાય અટકાવી દઈશું. કારણ કે, એ ઉચિત નથી કે, તેઓ (સેના) જ્યારે ઈચ્છે ત્યારે રસ્તાઓ બંધ કરી દે છે.'
ભાજપે તેલંગાણાના આઈટી મંત્રીના આ નિવેદનની ટીકા કરી છે. ભાજપના પ્રવક્તા એનવી સુભાષે આ મામલે કેટીઆર રાવ પર નિશાન સાધતા જણાવ્યું કે, તેઓ શિક્ષિત વ્યક્તિ છે. તેવામાં તેમની આ ટિપ્પણી ખૂબ ચોંકાવનારી છે. તેમના મનમાં સેનાને લઈ સન્માન નથી. સુભાષે આ મામલે તેલંગાણા સરકાર પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, હકીકતે આ ટિપ્પણી તેલંગાણા સરકારના તે સેના સાથે કેવો વ્યવહાર કરે છે તે વલણને જાહેર કરે છે.
ભાજપના નેતાએ એમ પણ જણાવ્યું કે, જો તેલંગાણા સરકારને કોઈ સમસ્યા હોય તો તેમણે એકબીજા સાથે વાત કરવી જોઈએ અને સમસ્યાનો ઉકેલ કાઢવો જોઈએ. બીજી બાજુ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની શુક્રવારે નબળાઈ સહિતની સ્વાસ્થ્યસંબંધી ફરિયાદને લઈ મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
Comments
Post a Comment