પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 61નાં મોત


- નમાઝ વખતે થયેલા હુમલાની જવાબદારી તાલિબાને લીધી

- હુમલામાં 150થી વધુને ઈજા, પેશાવરની હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાઈ : શહેરમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી 

- પાકિસ્તાનની સરકારોએ ઝેર પાઈને ઉછરેલા આતંકીઓએ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોવાથી લોકોએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો

પેશાવર : પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં નમાઝ દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલામાં ૬૧નાં મોત થયા હતા અને ૧૫૦ કરતાં વધુ ઈજાગ્રસ્ત બન્યા હતા. એમાંથી ઘણાંની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. પેશાવરમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. શહેરની હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાઈ ગઈ હતી, તેથી યુવાનોને રક્તદાનની અપીલ કરવામાં આવી હતી. આ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન તાલિબાને લીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ આતંકવાદી ઘટનાની ટીકા કરી હતી.

પાકિસ્તાનના પેશાવરમાં સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારમાં પાકિસ્તાન તાલિબાની સંગઠને આત્મઘાતી હુમલો કર્યો હતો. ભરચક વિસ્તારમાં આવેલી મસ્જિદમાં નમાઝ વખતે જ આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં મસ્જિદની એક દીવાલ તૂટી ગઈ હતી. પહેલી હરોળમાં હાજર રહેલા આતંકવાદીએ અન્ય લોકો બપોરે દોઢેક વાગ્યે નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ કર્યો હતો. નમાઝ અદા કરતા હતા એ લોકોમાં મોટાભાગના સૈન્ય-પોલીસ કર્મચારીઓ અને બોમ્બ સ્કવોડના કર્મચારીઓ હતા. પેશાવરનો આ વિસ્તાર ખૂબ જ સુરક્ષિત ગણાય છે અને ત્યાં સુરક્ષાદળોનો કાફલો તૈનાત રહે છે. ઘાયલ થયેલા ૧૫૦ કરતાં વધુ લોકોમાં પણ પોલીસ-સૈન્યના જવાનોની સંખ્યા વધારે હતી.

આ હુમલાની જવાબદારી તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી હતી. પાકિસ્તાન તાલિબાનના કમાન્ડર ઉમર ખાલિદ ખુર્સાનીના ભાઈએ આ આત્મઘાતી હુમલાની જવાબદારી લેતા કહ્યું હતું કે આ હુમલો બદલો લેવા માટે કર્યો છે. તેના ભાઈને એટલે કે ઉમર ખાલિદને અફઘાનિસ્તાનમાં ગત વર્ષે ઓગસ્ટમાં ઠાર કરવામાં આવ્યો હતો, એનો બદલો લેવા માટે આ હુમલો થયો હતો. હુમલામાં માત્ર સૈનિકો-પોલીસ કર્મચારીઓ જ નહીં, સામાન્ય નાગરિકોનો પણ ભોગ લેવાયો હતો. પાકિસ્તાની સરકારોએ ઝેર પાઈને ઉછરેલા આ તાલિબાની આતંકવાદીઓ હવે નાગરિકોને નિશાન બનાવવા લાગ્યા હોવાથી પાકિસ્તાની યુઝર્સે સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની ટીકા કરતા કહ્યું હતું કે ઈસ્લામ આવા કૃત્યોની કોઈ જ પરવાનગી નથી આપવામાં આવતી. આ હુમલાનો જવાબ આપવામાં આવશે અને આખો દેશ આતંકવાદ સામે લડશે.

જોકે, હકીકત એ છે કે પાકિસ્તાન અને ચીન વૈશ્વિક મંચ પર આતંકવાદીઓને બચાવતા આવે છે. પાકિસ્તાન તો મસૂદ અઝહરથી થઈને હાફિઝ સઈદ સહિતના અસંખ્ય આતંકવાદીઓને છાવરે છે. યુએન આવા આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકે છે છતાં આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહીને ભારત સહિતના દેશોમાં આતંકવાદી હુમલા કરે છે. પાકિસ્તાને અમેરિકા પાસેથી આટલા વર્ષોમાં આતંકવાદના ખાતમા માટે અબજો ડોલરનું ફંડ મેળવ્યું છે, છતાં એ જ ફંડનો ભારતમાં આતંકવાદી હુમલા કરાવવા માટે પાકિસ્તાન ઉપયોગ કરે છે. પાકિસ્તાનની સરકારોની આ અનીતિના કારણે હવે સામાન્ય નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો