માઈક્રોસોફ્ટ એકસાથે 10,000 કર્મચારીઓ છુટા કરશે


- મંદીના ભણકારા : અમેરિકામાં ટેકનોલોજીની ટોચની કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી

- કર્મચારીઓને 60 દિવસની નોટીસ, પગાર અને અન્ય ખર્ચના કારણે માઈક્રોસોફ્ટ ઉપર રૂ.9,720 કરોડનો બોજ આવશે

- જાન્યુઆરીના પ્રથમ પખવાડીયામાં 104 કંપનીઓએ વિશ્વભરમાં 25,061 કર્મચારીઓને હાંકી કાઢયા

અમદાવાદ : વર્ષે ૧૬૮ અબજ ડોલરની આવક ધરાવતી વિશ્વની પાંચમી સૌથી મોટી ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટ દ્વારા લગભગ ૧૦,૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે. અગાઉ, એમેઝોન, ફેસબુકની માલિક કંપની મેટા, ટ્વીટર જેવી કંપનીઓએ પણ કર્મચારીઓ ઓછા કરી ખર્ચ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકામાં સતત વધી રહેલા વ્યાજ દરના કારણે વર્ષ ૨૦૨૩માં આર્થિક મંદી આવી પડે એવી શક્યતાએ જાન્યુઆરી મહિનાના પ્રથમ પખવાડિયામાં અમેરિકા અને વિશ્વની અગ્રણી ૧૦૪ ટેકનોલોજી કંપનીઓ દ્વારા ૨૫,૦૬૧ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તેમાં બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટનો ઉમેરો થયો છે. જોકે, ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરીઓ ઉપર નજર રાખતા વિશ્લેષકોનું કહેવું છે કે જુલાઈ ૨૦૨૨માં માઈક્રોસોફ્ટે નાના પાયા ઉપર લગભગ ૧૦૦૦ જેટલા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

માઈર્કોસોફટ દ્વારા આ અંગે બુધવારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ સ્ટોક એક્સચેન્જને સત્તાવાર જાણ કરી હતી અને સાથે કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર સત્યા નાદેલાનો કર્મચારીઓને પત્ર પણ જોડયો હતો. આ પત્રમાં સત્યાએ કર્મચારીઓને જણાવ્યું હતું કે કંપનીના કુલ સ્ટાફમાંથી પાંચ ટકાથી ઓછાને માર્ચ ૨૦૨૩ સુધીમાં છુટા કરવામાં આવશે. 'આ નિર્ણય કઠોર છે પણ વિશ્વમાં કેટલાક સ્થળોએ મંદી ચાલી રહી છે અને કેટલાક સ્થળોએ મંદી આવે તેવી અપેક્ષા છે આ સમયે ગ્રાહકોની ડીજીટલ રોકાણ ઘટી રહ્યું છે એટલે કંપનીની કામગીરીને ધ્યાનમાં રાખી કર્મચારીઓની સંખ્યા ઘટાડવી પડે એમ છે,' એમ સત્યાએ જણાવ્યું હતું. 

કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે કર્મચારીઓને છુટા કરવાના કારણે તેમને આપવાનો આવતો પગાર, મેડીકલ બેનીફીટ અને અન્ય સવલતો તથા કોમ્પ્યુટર હાર્ડવેરના રોકાણના લીધે કંપની ઉપર ૧.૨ અબજ ડોલર (રૂ.૯,૭૨૦ કરોડ)નો ખર્ચબોજ માર્ચ ૨૦૨૩ના પરિણામમાં જોવા મળશે. 

જૂન ક્વાર્ટરના ઉપલબ્ધ આંકડા અનુસાર માઈક્રોસોફ્ટના કુલ ૨,૨૧,૦૦૦ કર્મચારીઓ છે તેમાંથી ૧,૨૨,૦૦૦ કર્મચારીઓ અમેરિકામાં કાર્યરત છે બાકીના તેના ભારત સહીતના ડેવલપમેન્ટ સેન્ટરમાં દુનિયાભરમાં કામ કરી રહ્યા છે. મંદીના સમયે કંપનીનો કાર્યકારી ખર્ચ ઘટાડી કંપની લગભગ પાંચ ટકા જેટલા કે ૧૦,૦૦૦ કર્મચારીઓ ઘટાડશે. આ વખતે જે લોકો નોકરી ગુમાવશે તેમાં હ્યુમન રિસોર્સ, એન્જીનીયરીંગ, સોફ્ટવેર ડેવલપર અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમના સભ્યોનો પણ સમાવેશ થઇ શકે છે. અમેરિકન પ્રસાર માધ્યમોના જણાવ્યા અનુસાર માઈક્રોસોફ્ટ બુધવારથી જ કર્મચારીઓ છુટા કરવા શરુ કરી શકે છે. 

અગાઉ, વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપની એમેઝોન દ્વારા ૧૮,૦૦૦ કર્મચારીઓ ઓછા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે એમેઝોનની આ પ્રક્રિયા હવે શરુ થઇ ગઈ છે અને નોકરી ઉપરથી દૂર કરવામાં આવેલા કર્મચારીઓમાં ભારતના પણ ૧,૦૦૦ જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. 

વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ કોર્પમાં મોટી સંખ્યામાં છટણીની તૈયારી કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર કંપની માનવ સંસાધનથી લઈને એન્જિનિયરિંગ ટીમ સુધીની હજારો નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે. આર્થિક મંદીના ભય વચ્ચે અમેરિકન ટેક કંપનીઓ હાલમાં માંગમાં ઘટાડાનો સામનો કરી રહી છે, જેમાં મેટા, એમેઝોન બાદ હવે માઇક્રોસોફ્ટનો સમાવેશ થયો છે.

રોઇટર્સે મોર્નિંગસ્ટારના વિશ્લેષક ડેન રોમનાફને ટાંકીને જણાવ્યું કે, 'માઈક્રોસોફ્ટ દ્વારા થઈ રહેલી આ ઈતિહાસની સૌથી મોટી છટણીનું ચિત્રને જોઈએ તો સૂચવે છે કે કંપનીની અને બજારની અને અર્થતંત્રની સ્થિત વધુ સારી નથી થઈ રહી અને આગામી સમયમાં વધુ ખરાબ થઈ શકે છે.

ભારતની આઈટી કંપનીઓમાં નોકરીઓમાં 94 ટકાનો ઘટાડો 

ભારત વિશ્વમાં ટેકનોલોજી નિકાસ ક્ષેત્રે અવ્વલ સ્થાન ઉપર આવે છે. ડિસેમ્બર મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો દેશની ટોચની ચાર કંપનીઓએ જાહેર કર્યા છે. ટાટા કન્સલ્ટન્સી, ઈન્ફોસીસ, એચસીએલ અને વિપ્રોના પરિણામ અનુસાર આ ચાર કંપનીઓએ છેલ્લા ત્રણ મહિનામાં માત્ર ૧૯૪૦ લોકોને વધારાની (છુટા થયેલા સામે નવા નોકરી ઉપર આવેલા કર્મચારીઓ) નોકરી આપી છે.  ડિસેમ્બર ૨૦૨૨ સામે ડિસેમ્બર ૨૦૨૧ના ક્વાર્ટરમાં વધારાની નોકરીઓ ૬૧,૧૩૭ હતી એટલે કે વાર્ષિક દ્રષ્ટીએ ૯૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજું, આ ચાર મોટી કંપનીઓને સર્જન કરેલી વધારાની નોકરી છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે. 

સ્ટાર્ટઅપ ગોમિકેનિક 70 ટકા કર્મચારીઓ છુટા કરશે

ભારતમાં કાર રીપેરીંગ માટે ગેરેજ સાથે જોડાણ કરી ગ્રાહકોને ઓનલાઈન એપ થકી સેવા આપતા ગોમિકેનિક નામના સ્ટાર્ટઅપમાં નાણાકીય ખેંચ ઉભી થઇ હોવાથી કંપનીએ તેના ૭૦ ટકા કર્મચારીઓને નોકરી ઉપરથી હાંકી કાઢવા માટેની જાહેરાત કરી છે. કંપનીના સ્થાપક અમિત ભસીને લીંકડીન ઉપર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે વેચાણના ખોટા આંકડાઓ જાહેર કરી, નાણા એકત્ર કરતી સમયે વૃદ્ધિ અંગેના ખોટા અંદાજો જેવી ચીજો સામે આવી છે. આ સ્થિતિમાં કંપનીને નવા નાણા મળતા બંધ થઇ ગયા છે અને ખર્ચ ઘટાડવા માટે ૭૦ જેટલા કર્મચારીઓને છુટા કરવાનો સમય આવી ગયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો