PM મોદી આજે તેલંગાણામાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે, વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Image : PIB twitter

PM મોદી આજે તેલંગાણાને વધુ એક મોટી ભેટ આપશે. PM નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજન સિકંદરાબાદ સ્ટેશન પર હાજર રહેશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રીએ PM મોદીનો આભાર માન્યો 

PM મોદીના વખાણ કરતા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હું આ વિશ્વકક્ષાની ટ્રેન આપવા બદલ પીએમ મોદીનો આભાર માનું છું. આ ટ્રેન બે તેલુગુ ભાષી લોકોને જોડશે તેમ અશ્વિન વૈષ્ણવે કહ્યું હતું. આ ટ્રેન સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચેનું અંતર લગભગ 8 કલાકમાં જ કાપશે. રેલવેના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ નવી ટ્રેનનું સંચાલન આવતીકાલથી શરૂ થશે. આ ટ્રેન માટે બુકિંગ શનિવારથી જ શરૂ થઈ ગયું છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 14 એસી કોચ છે. આ ટ્રેનમાં 1,128 મુસાફરો મુસાફરી કરી શકશે. ભારતીય રેલવેએ જણાવ્યું કે રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ 8મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. તેલુગુભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી આ પહેલી ટ્રેન છે જે લગભગ 700 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર રોકાશે. વંદે ભારત એક્સપ્રેસને સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ સાથે આ ટ્રેન મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ ટ્રેન 52 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તમામ વંદે ભારત ટ્રેનો સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ છે અને તેમાં ઓટોમેટિક દરવાજા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન