દિલ્હીમાં અસદુદ્દીન ઓવૈસીના નિવાસે પથ્થરમારો, AIMIMના વડાએ કહ્યું- આ પ્રકારનો ચોથો હુમલો

image : Twitter


નવી દિલ્હી, તા 20, ફેબ્રુઆરી, 2023,સોમવાર 

દિલ્હીમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ઘરે બદમાશોએ રવિવારે મોડી સાંજે પથ્થરમારો કરી દીધો હોવાની ઘટના બની હતી. આ પથ્થરમારા બાદ ઓવૈસીના ઘરની બારીઓ તૂટી ગઇ હતી. આ ઘટનાની પુષ્ટી દિલ્હી પોલીસે પણ કરી હતી. તેના બાદ ઓવૈસીએ પોલીસમાં આ મામલે ફરિયાદ કરી હતી. 

માહિતી મળતા એડિશનલ ડીસીપી દોડી આવ્યા 

AIMIM ચીફ ઓવૈસીએ આરોપ મૂક્યો કે કેટલાક અજાણ્યા લોકોએ તેમના દિલ્હીમાં આવેલા નિવાસે પથ્થરમારો કરી દીધો હતો. આ ઘટના અશોક રોડ વિસ્તારમાં સાંજે આશરે સાડા 5 વાગ્યે બની હતી. માહિતી મળતા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમ ઓવૈસીના ઘરે પહોંચી હતી અને પુરાવા એકઠાં કર્યા હતા. 

ઓવૈસી મોડી રાતે ઘરે આવ્યા હતા 

આ મામલે ઓવૈસીએ કહ્યું કે હું રાતે સાડા 11 વાગ્યે ઘરે આવ્યો હતો. મેં જોયું કે બારીના કાંચ તૂટી ગયા હતા અને ચારેકોર પથ્થરો વેરાયેલા હતા. મારા ઘરે કામ કરતી વ્યક્તિએ જણાવ્યું કે કેટલાક બદમાશોએ સાંજે સાડા પાંચ વાગ્યાની આજુબાજુ આપણા ઘરે પથ્થરમારો કરી દીધો હતો. AIMIMના ચીફે કહ્યું કે આ પ્રકારનો મારા ઘર પર આ ચોથો હુમલો છે. અહીં સીસીટીવીની વ્યવસ્થા પણ છે જેનાથી બદમાશોની ઓળખ થઇ શકશે. 


Comments