દિલ્હીમાં યમુના ઐતિહાસિક ઊંચા સ્તરે : લોકોના જીવ તાળવે

- ઉપરવાસના ભારે વરસાદના કારણે હરિયાણાએ પાણી છોડયું અને રાજધાનીમાં પૂરનું રેડ એલર્ટ
- 45 વર્ષ પછી યમુનાનું જળસ્તર 207.49 મીટરની સપાટી વટાવી 207.89 મીટરે પહોંચી : આજે સવારે 208 મીટરને આંબે એવી શક્યતા
- ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં વરસાદથી ૨૫ના મોત વરસાદની તીવ્રતા ઘટતા હિમાચલ, ઉતરાખંડમાં બચાવ શરૂ
- આજે દિલ્હીમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની બેઠક : પૂરમાં મદદ કરો, જી20 પહેલા દેશની છબિ ખરડાશે : કેજરીવાલ
- ગુજરાતીઓ સહિત 2,000 સહેલાણીઓને સલામત સ્થળે ખસેડાયા
નવી દિલ્હી : શનિવારથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિક્રમી વરસાદના કારણે બિયાસ, ગંગા, યમુના અને અન્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરિયાણા સરકારે ફરજીયાત રીતે યમુનાનગરના હથીનીકુંડ બેરેજમાંથી પાણી છોડતા હવે રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ ઉભું થયું છે. બુધવારે રાત્રે આઠ કલાકે યમુના નદીનું સ્તર ૨૦૭.૮૯ મીટરની સપાટીએ પહોંચ્યું હતું જે ૧૯૭૮ના સર્વોચ્ચ સ્તર ૨૦૭.૪૯ મીટર કરતા વધારે છે. હજુ ગુરુવારે વહેલી સવારે જળસ્તર ૨૦૮ મીટરની સપાટીએ પહોંચે એવી સેન્ટ્રલ વોટર કમીશનની આગાહી છે. પૂરના કારણે દિલ્હીમાં નદી કિનારે કલમ ૧૪૪ જાહેર કરવામાં આવી છે અને કાંઠાળ વિસ્તારમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં વરસાદની તીવ્રતા ઘટી જતા હવે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. રવિવારે સવારે તે ૨૦૩.૧૪ મીટર હતું તે અંદાજ કરતા ૧૮ કલાક પહેલા સોમવારે જોખમી સ્તર કરતા વધી ૨૦૫.૪ મીટર થઇ ગયું હતું. હરિયાણા ખાતે આવેલા અને દિલ્હીની પાણીની ૬૦ ટકા જરૂરીયાત પૂર્ણ કરતા હથીનીકુંડ બેરાજમાંથી મંગળવારે ૩.૫૯ લાખ ક્સ્યુસેક (એક કયુસેક એટલે ૨૮.૩૨ લીટર પ્રતિ સેકન્ડ) કે ૧૦૧.૭ લાખ લીટર પાણી પ્રતિ સેકન્ડ છોડવામાં આવ્યું હતું.
યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ઓફીસ, ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનસ, કાશ્મીરીગેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાવા શરુ થઇ ગયા છે. નેશનલ ડીઝાસસ્ટર રીલીફની ટુકડીઓ અને દિલ્હી નગર નિગમ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. યમુના નદીના કાંઠે અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને દૂર હટી જવા, તેમની ઘરવખરી ઉપાડી ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવી રહ્યા છે. સોમવારે ૭૫૦૦ લોકોને ફરીદાબાદ અને ઓખલા વચ્ચેથી સલામત સ્થળે ખસેડયા બાદ આજે બીજા ૧૦૦૦ લોકોને ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે બચાવ ટુકડીની રાહ જોયા વગર જ લોકોને આપમેળે ખસી જવા અપીલ કરી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ ગુરુવારે દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની બેઠક બોલાવી છે જેમાં પૂરની પરિસ્થિતિ અને તેમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી યાગ્ય કામગીરી માટે ટુકડીઓ કામે લગાડવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. હથીનીકુંડમાંથી વધારે પાણી છોડે નહી અથવા તો શક્ય હોય તો તેની ઝડપ ઘટાડવા હરિયાણા સરકારને અપીલ કરવા માટે મદદ ગૃહમંત્રીની મદદ માંગી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં નવી દિલ્હી ખાતે જી૨૦ રાષ્ટ્રની બેઠક થવાની છે ત્યારે પૂરના સમાચારથી દિલ્હીનું નામ ખરડાય અને દેશની છબિ બગડે એવી સંજોગો ઉભા થયા છે.
દિલ્હીમાં પુરની સ્થિતિ વચ્ચે બીજી બાજુ ઉત્તર ભારતમાં વરસાદ બંધ કે મંદ પડતા હવે ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં રાહત અને બચાવની કામગીરી ઉપર સત્તાવાળાઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પંજાબ અને હરિયાણામાં વરસાદના કારણે ૧૫ અને ઉત્તર પ્રદેશમાં લગભગ ૧૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. હિમાચલ પ્રદેશના કસૌલ ખાતે ફસાયેલા ૨૦ જેટલા ગુજરાતીઓ સહિત ૨,૦૦૦ જેટલા સહેલાણીઓને સલામત સ્થળે ખસેડવમાં આવ્યા છે. લાહૌલ ખાતે ૩૦૦ જેટલા વાહનો ભૂસ્ખલનના કારણે ફસાયેલા ૩૦૦ જેટલા વાહનો માટે હવે રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. જોકે, હજુ ૮૭૩ જેટલા રોડ - રસ્તા બંધ છે. આ કારણોસર હજી હજારો વાહનો ફસાયેલા હોવાની શક્યતા છે. લગભગ ૧૧ જેટલા હેલીકોપ્ટરની મદદથી પ્રવાસીઓને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કસૌલ - ભૂંતર રોડ ઉપર દુન્ખારા ખાતે ભૂસ્ખલનના કારણે હજી માર્ગ બંધ છે અને તે રોડ ફરી શરુ કરવા માટે ટુકડીઓ કામે લાગેલી છે. ભારે વરસાદ, પુર અને ભૂસ્ખલનના કારણે હિમાચલ પરદેશમાં રૂ.૪,૦૦૦ કરોડનું નુકસાન થયું હોવાનો રાજ્ય સરકારનો અંદાજ છે.
દિલ્હી ક્લાયમેટ ચેન્જનો અનુભવ કરી રહી છે!
દિલ્હીમાં મે ૨૦૨૨માં ૩૧ વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આ પછી મે ૨૦૨૩ છેલ્લા ૩૬ વર્ષમાં સૌથી ઠંડો રહ્યો હતો.
ગત સપ્તાહે દિલ્હીમાં ભારે વરસાદના કારણે ચાર દાયકાનો વિક્રમ તુટયો હતો. હિમાલયન વેલીમાં પણ જળવાયુ પરિવર્તનની ભારે અસર જોવા મળી રહી છે. ભૂસ્ખલન અને ઓછા બરફ વરસાદ બાદ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ બાદ હવે રાજધાની દિલ્હીમાં ભારે પૂરપ્રકોપ આવી પહોંચ્યો છે.
Comments
Post a Comment