ગુજરાતમાં મહામારી રૌદ્ર સ્વરૂપ તરફ, આજે રેકોર્ડબ્રેક 1540 પોઝિટિવ કેસ, 14ના મોત

અમદાવાદ, તા. 25 નવેમ્બર 2020, બુધવાર

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર  સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ પોઝિટિવ કેસોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યૂ અમલી છે, આ વચ્ચે કેસોની વધી રહેલી સંખ્યા ચિંતાજનક છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1540નવા કેસ નોંધાયા છે. જેની સામે 1283 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,83,756 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 91,459 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 74,80,789 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,94,607 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,94,475 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 132 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા 1540 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 326, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 56, વડોદરા શહેરમાં 128, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 58 કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 96 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,191 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,83,756 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3906 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.99% છે.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું નિધન

રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું કોરોનાને કારણે નિધન થયું છે. કોંગ્રેસ પાર્ટીનાં 'ચાણક્ય' ગણાતા અહેમદ પટેલનો ગુજરાત સાથે પહેલાથી જ સંબંધ રહ્યો છે. તેમનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા. સંક્રમણની ચપેટમાં આવ્યા બાદ દિવસેને દિવસે તેમની તબિયત ખરાબ થતાં તેમનું નિધન થયું છે, જે બાદ સમગ્ર દેશમાં રાજકીય નેતાઓ અને કોંગ્રેસ પાર્ટીમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ છે.

ગૃહમંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી

કોરોના વાઈરસનું સંક્રમણ સંમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગૃહમંત્રાલયે મોનિટરિંગ, કંટ્રોલ અને સાવધાની માટે દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. સરકારની આ નવી ગાઈડલાઈન ડિસેમ્બર મહિનામાં અમલી રહેશે. આ ગાઈડલાઈન 01લી ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન