હિમાચલમાં આફત! બે મહિનામાં 113 વખત ભૂસ્ખલન, 58 વખત આભ ફાટ્યું, મૃત્યુઆંક વધીને 330ને આંબ્યો

IANS


હિમાચલ પ્રદેશમાં આકાશથી વરસેલી આફતના કારણે મૃત્યુઆંક દરરોજ વધી રહ્યો છે. ગુરુવારે ત્રણ નવા મૃત્યુ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 330 થઈ ગયો છે. રાજ્યમાં ભૂસ્ખલનની વધતી ઘટનાઓને કારણે 1957 મકાનો ધરાશાયી થયા છે અને 9344 મકાનોને આંશિક નુકસાન થયું છે. આ દરમિયાન પૂરના પાણીમાં 293 દુકાનો અને 4072 ગૌશાળાઓ ધરાશાયી થઈ ગઈ છે. આ સાથે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. 

113 વખત ભૂસ્ખલન થયું 

બે મહિનાથી ચાલી રહેલા વરસાદમાં રાજ્યમાં 113 ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જે જાનમાલના નુકસાનનું મોટું કારણ બન્યું છે. ચોમાસા દરમિયાન રાજ્યના પાંચ જિલ્લામાં વાદળ ફાટવાની 58 ઘટનાઓ બની છે.

તેના લીધે 7659 કરોડનું નુકસાન

તેના કારણે સ્થાવર અને જંગમ મિલકતને 7659 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જળ શક્તિ વિભાગને 1842 કરોડ રૂપિયા, જાહેર બાંધકામ વિભાગને 2656 કરોડ રૂપિયા, રાજ્ય વિદ્યુત બોર્ડને 1505 કરોડ, બાગાયત વિભાગને 144 કરોડ, કૃષિ વિભાગને 256 કરોડ, ગ્રામીણ વિકાસ વિભાગને 369 કરોડ અને શિક્ષણ વિભાગને 118 કરોડનું નુકસાન થયું છે.

શુક્રવારે કેવું રહેશે હવામાન? 

હવામાન વિભાગે શુક્રવારે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરી છે. આ દરમિયાન ક્યાંય પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન મંડીમાં 60 મીમી, નગરોટામાં 24 અને ડેલહાઉસીમાં 23 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

2 મહિનાથી જનજીવન પ્રભાવિત

હિમાચલમાં ચોમાસાની શરૂઆતથી જ સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાહત અને બચાવ કામગીરીમાં હવામાન વારંવાર અવરોધ ઉભો કરી રહ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 650 રસ્તાઓ હજુ પણ બંધ છે. જેના કારણે વાહનવ્યવહાર નિગમના 1800 રૂટ પ્રભાવિત થયા છે. મંડી જિલ્લામાં મહત્તમ 319, શિમલામાં 119, સોલનમાં 66, કુલ્લુમાં 73 રસ્તાઓ હજુ પણ વાહનવ્યવહાર માટે બંધ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો