ભારતના ચૂંટણી પરિણામો પર વિશ્વભરની નજર, જાણો EXIT POLL પર પાકિસ્તાન, ચીન સહિતના દેશોએ શું કહ્યું?


Lok Sabha Election Exit Poll 2024 Result : ચોથી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા પહેલા એક્ઝિટ પોલના તારણોમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએની મોટી જીત થવાની ધારણા વ્યક્ત કરાઈ છે. તો હવે ભારતીય લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા વિશ્વભરમાં પણ છવાયા છે. વિશ્વભરની મીડિયા સંસ્થાઓએ એક્ઝિટ પોલના તારણોની નોંધ લીધી છે. તારણો મુજબ ભાજપ અને ગઠબંધન પાર્ટીઓને (NDA ગઠબંધન)ને કુલ 543 બેઠકોમાંથી 361થી 401 બેઠકો મળવાની સંભાવના છે.

વિદેશી મીડિયામાં છવાયા એક્ઝિટ પોલના તારણો

એક્ઝિટ પોલના તારણોની નોંધ માત્ર દેશની મીડિયાએ જ નહીં, વિદેશી મીડિયા (Foreign Media)ઓએ પણ નોંધ લીધી છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતની લોકસભા ચૂંટણીનું કવરેજ વિશ્વભરની મીડિયા કરી રહી છે. વિશ્વભરના મોટા સમાચાર પત્રો (Newspaper), સમાચાર વેબસાઈટો (News Website)એ પણ એક્ઝિટ પોલના અહેવાલો પ્રકાશિત કર્યા છે. પાકિસ્તાન (Pakistan), ચીન (China), રશિયા (Russia), બ્રિટન (Britain), બાંગ્લાદેશ (Bangladesh), સંયુક્ત આરબ અમિરાત (UAE) સહિત ઘણા દેશોની મીડિયાએ એક્ઝિટ પોલના તારણોને મુખ્યરીતે કવર કર્યા છે. તો જાણીએ વિશ્વની કંઈ મીડિયા સંસ્થાઓએ એક્ઝિટ પોલના તારણો અંગે શું કહ્યું ?

પાકિસ્તાન : ભારતમાં એક્ઝિટ પોલના પરિણામો ખોટા હોય છે

પાકિસ્તાનનું મુખ્ય સમાચાર પત્ર ‘ડૉન (Dawn)’એ લખ્યું છે કે, બે એક્ઝિટ પોલનો સારાંશ જોવામાં આવે તો ભારતની સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભાની 543 બેઠકોમાંથી 350 બેઠકો જીતવાની સંભાવના છે. બહુમતી માટે 272 બેઠકો જીતવી જરૂરી છે. તેણે એમ પણ કહ્યું છે કે, ‘ભારતમાં એક્ઝિટ પોલનો રેકોર્ડ ખરાબ છે, કારણ કે હંમેશા તેમની ચૂંટણીના પરિણામો ખોટા હોય છે. વિશ્લેષકોનું કહેવું છે કે, મોટા અને વૈવિધ્યસભર દેશમાં તે સત્ય હોવું એક પડકાર છે. મંગળવારે પરિણામો જાહેર થશે ત્યારે મોદી ત્રીજી વખત સત્તામાં આવશે તેવી અપેક્ષા છે. કારણ કે તેમને સત્તા મળવાનું મુખ્ય કારણ ભારતના મોટાભાગના લોકોનો વિશ્વાસ અને તેમની આક્રમક ચેમ્પિયનવાળી છબી છે.


બાંગ્લાદેશ : વિપક્ષ અને રાહુલ ગાંધીનો કર્યો ઉલ્લેખ

બાંગ્લાદેશના મુખ્ય અંગ્રેજી સમાચાર પત્ર ‘ધ ડેલી સ્ટાર (The Daily Star)’એ પણ એક્ઝિટ પોલ અંગેનો અહેવાલ પ્રકાશીત કર્યો છે. તેણે અહેવાલનું હેડિંગ લખ્યું છે કે, ભારતના વિપક્ષે એક્ઝિટ પોલના અનુમાને રદીયો આપ્યો’ તેણે અહેવાલમાં લખ્યું છે કે, ભારતના વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન મોદી સત્તામાં પરત ફરી રહ્યા હોવાના એક્ઝિટ પોલના અનુમાનોને ખોટા ગણાવ્યા છે. વિપક્ષે એક્ઝિટ પોલને ખોટો ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ એક્ઝિટ પોલ નથી પરંતુ મોદી મીડિયા પોલ છે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ગઠબંધનને 295 બેઠકો મળી રહી છે.


ચીન : ચૂંટણી જીત્યા બાદ મોદીનું ધ્યાન વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા તરફ રહેશે

ચીનના સરકારી સમાચાર પત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ (Global Times)’એ લખ્યું છે કે, એક્ઝિટ પોલના તારણો મુજબ વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત જીતવાના છે. એક્સપર્ટ્સને ટાંકીને ચીની અખબારે લખ્યું છે કે, વડાપ્રધાન મોદી જીત બાદ તેમની ઘરેલું રાજકારણ અને વિદેશી નીતિમાં કોઈ ફેરફાર નહીં કરે અને ભારતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ચાલુ રાખશે. ચૂંટણી જીત્યા બાદ મોદીનું ધ્યાન એ બાબત પર હશે કે, ભારત અમેરિકા અને ચીન બાદ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને. મોદી રાજદ્વારી માધ્યમથી વિશ્વમાં ભારતનો પ્રભાવ વધારવાનો પણ પ્રયાસ કરશે.


રશિયા : વડાપ્રધાન મોદીની જીત ઐતિહાસિક બનવાની છે

રશિયાની સરકારી સમાચાર ચેનલ ‘રુસ ટીવી (Russian TV)’એ કહ્યું છે કે, ‘જુદા જુદા એક્ઝિટ પોલના તારણો દર્શાવી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પાર્ટી ભારતની લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતી મેળવવાની સાથે ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. મોદીની આ જીત ઐતિહાસિક બનવાની છે, કારણ કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) બાદ કોઈપણ વડાપ્રધાન સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા નથી. નેહરુ લગભગ 17 વર્ષ સુધી સત્તા પર રહ્યા હતા.

બ્રિટન : હિન્દુ રાષ્ટ્રવાદી નેતા મોદી માટે આ ઐતિહાસિક જીત હશે

બ્રિટનના સૌથી મોટા સમાચાર પત્ર ‘ધ ગાર્ડિયન (The Guardian)’એ સોમવારે પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે, ‘ભારતની લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને એક્ઝિટ પોલના તારણો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક ત્રીજીવાર જીતશે. તેમાં લખાયું છે કે, શનિવારે રાત્રે આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં મોદી અને તેમની ભારતીય જનતા પાર્ટી એક મોટી જીત મેળવવા તરફ આગળ વધી રહી છે. હિન્દુ રાષ્ટ્રવાદી નેતા મોદી માટે આ ઐતિહાસિક જીત હશે. તેમણે ભારતની બિનસાંપ્રદાયિક લોકશાહીમાં નોંધપાત્ર બદલાવ કર્યો છે.


સંયુક્ત આરબ અમીરાત : ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતી મળવા જઈ રહી છે

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના સમાચાર પત્ર ‘ખલીજ ટાઈમ્સ (Khaleej Times)’એ એક્ઝિટ પોલ અંગે લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતી મળવા જઈ રહી છે. તેમાં લખાયું છે કે, એક્ઝિટ પોલ મુજબ સત્તાધારી એનડીએ 543 બેઠકોમાંથી 350 બેઠકો જીતી શકે છે, જ્યારે બહુમતી માટે 272 બેઠકોની જરૂર હોય છે. એનડીએએ 2019ની લોકસભા ચૂંટણીમાં 353 બેઠકો જીતી હતી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો