ભારતીય નૌસેનાની તાકાતમાં ઉમેરો, એન્ટિ ટોર્પિડો મિસાઈલ સિસ્ટમ 'મારીચ' યુદ્ધ કાફલામાં સામેલ

નવી દિલ્હી, તા. 27 જૂન 2020, શનિવાર
ભારતીય નૌસેના દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે તેણે સ્વદેશ નિર્મિત અદ્યતન એન્ટી ટોર્પિડો મિસાઈલ સિસ્ટમ 'મારીચ'ને પોતાના કાફલામાં સામેલ કરી છે જે આગળના મોરચાના તમામ યુદ્ધ જહાજ પરથી તાકી શકાશે. આ મિસાઈલ સિસ્ટમ કોઈ પણ જાતના ટોર્પિડો હુમલાને નિષ્ફળ બનાવવામાં નૌસેનાની મદદ કરશે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત 'મારીચ' પ્રણાલી હુમલો કરનાર ટોર્પિડોને ઓળખીને તેને ભ્રમિત કરવા અને નષ્ટ કરવા સક્ષમ છે. નૌસેનાએ જણાવ્યું કે, નિર્દિષ્ટ નૌસેન્ય મંચ પર લગાવવામાં આવેલા આ પ્રણાલીના મોડેલે તમામ પ્રાયોગિક મૂલ્યાંકન પરીક્ષણ સફળતાપૂર્વક પાર કર્યું હતું અને નૌસૈન્ય સ્ટાફ માપદંડ આવશ્યકતાઓને અનુરૂપ તમામ વિશેષતા પ્રદર્શનો પર તે ખરી ઉતરી હતી.
નૌસેનાના કહેવા પ્રમાણે 'મારીચ'ને સામેલ કરવામાં આવે તે સ્વદેશી સંરક્ષણ તકનીકના વિકાસની દિશામાં નૌસેના અને ડીઆરડીઓના સંયુક્ત સંકલ્પનું સાક્ષી છે તથા સરકારની 'મેક ઈન ઈન્ડિયા' પહેલ અને દેશના તકનીક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવાના સંકલ્પની દિશામાં એક મોટું પગલું છે.
સંરક્ષણ એન્ટરપ્રાઈઝ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આ વિધ્વંસક પ્રણાલીનું ઉત્પાદન કરવામાં આવશે. અગ્રિમ હરોળના તમામ યુદ્ધ જહાજો પરથી તાકી શકાય તે માટે સક્ષમ અદ્યતન ટોર્પિડો વિધ્વંસક પ્રણાલી મારીચ માટે એક કરાર સુધી પહોંચવાની સાથે આજે ભારતીય નૌસેનાને એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતામાં મોટી સફળતા મળી છે.
Comments
Post a Comment