સીબીઆઇએ ગાંધીધામના સેન્ટ્રલ જીએસટીના આસીટન્ટ કમિશનર વિરૂદ્વ રૂપિયા 3.71 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો
અમદાવાદ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા બુધવારે મોડી સાંજે ગાંધીધામ યુનિટના સેન્ટ્રલ જીએસટીના આસીટન્ટ કમિશનર મહેશ ચૌધરી અને તેના પત્ની વિરૂદ્વ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન આવક કરતા 74 ટકા વધુ કુલ 3.71 કરોડની આવક મળી આવી હતી. સાથેસાથે સીબીઆઇએ 42 લાખની રોકડ અને ફોરેન કરન્સી , ઘડિયાળ અને દાગીનાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, ગુજરાત અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સીબીઆઇને ખાનગીમાં માહિતી મળી હતી કે ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીના આસીટન્ટ કમિશનર મહેશ ચૌધરીએ વર્ષ 2017થી 2021ના નોકરીના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુપયોગ કરીને ભષ્ટ્રાચાર આંચરીને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી છે. જેના આધારે સીબીઆઇએ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે મહેશ ચૌધરીએ રાજસ્થાન ખાતે તેમા બાડમેર ખાતે તેના અન્ય પરિવારજનોના નામે કરોડો રૂપિયાની જમીનમાં રોકાણ કર્યું હતું. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં તેની પત્નીના નામે રૂપિયા છ કરોડની કિંમતનો ફ્લેટ લીધો હતો, જેમાં કુલ રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જેના આધારે સીબીઆઇએ મહેશ ચૌધરી અને તેની પત્ની વિરૂદ્વ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
ગુરૂવારે સીબીઆઇ દ્વારા સેન્ટ્રલ જીએસટીની કચેરી ખાતે આવેલી મહેશ ચૌધરીની ઓફિસ સર્ચ ઓપરેશન હાથ ધરીને કોમ્યુટર સહિત કેટલાંક દસ્તાવેજો જપ્ત કરાયા હતા, તો સીબીઆઇએ રૂપિયા 3.71 કરોડનીઅપ્રમાણસર મિલકતોના પણ તમામ દસ્તાવેજી પુરાવા જપ્ત કર્યા છે. બાડમેર, અમદાવાદ અને ગાંધીધામ ખાતેના તેના નિવાસ સ્થાનેથી 42 લાખની રોકડ અને મોંઘી ઘડિયાળ અને દાગીના જપ્ત કર્યા હતા.. આ સાથે હજુ પણ અનેક સ્થળોએ તપાસમાં કરવામાં આવી રહી છે. જેમાં હજુપણ લાખો રૂપિયાનો વિવિધ મુદ્દામાલ જપ્ત થવાની શક્યતા સીબીઆઇ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથેસાથે વિદેશમાં પણ રોકાણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ ગુનામાં અન્ય કોઇના નામે રોકાણ મળી આવે તો તેનું નામ પણ સહઆરોપી તરીકે ઉમેરવામાં આવશે. તેમ સીબીઆઇના સુત્રોએ જણાવ્યું હતું.
Comments
Post a Comment