રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 958 પોઝિટિવ કેસ, 1309 દર્દીઓ થયાં સ્વસ્થ
અમદાવાદ, તા. 23 ડિસેમ્બર 2020, બુધવાર
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા થોડાં દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યમાંમાં સતત ઘટી છે. એ સાથે જ દરરોજ થતાં મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 93% કરતા વધી ગયો છે. તેમજ સ્વસ્થ થતાં દર્દીઓનો આંકડો પણ વધારે છે. રાજ્યમાં સ્વસ્થ થતાં દર્દીની સંખ્યા પોઝિટિવ આવતા કેસોની સરખામણીએ ઘણી વધારે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 958 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1309 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 06 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4254 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 2,22,911 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 92,17,823 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,05,474 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,05,358 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 116 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
આજે નોંધાયેલા 958 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 195, અમદાવાદ જિલ્લામાં 07, સુરત શહેરમાં 123, સુરત જિલ્લામાં 34, વડોદરા શહેરમાં 96, વડોદરા જિલ્લામાં 32, રાજકોટ શહેરમાં 97, રાજકોટ જિલ્લામાં 29 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 63 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 10,977 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 2,22,911 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 4254 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 93.58% છે.
Comments
Post a Comment