માનવ સ્વાસ્થ્ય માટે વાયુ પ્રદૂષણ સૌથી ગંભીર ખતરો


એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણ પૃથ્વી પર દરેક પુરુષ. મહિલા અને બાળકની લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી ઘટાડી દે છે. એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ એવો સૂચકાંક છે જે અશ્મિજન્ય બળતણના ઉપયોગ દ્વારા થતા વાયુ પ્રદૂષણને માનવીના સ્વાસ્થ્ય પર થતી અસરરૂપે રજૂ કરે છે. એક્યૂએલઆઇનું કહેવું છે કે એક તરફ દુનિયા કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે વેક્સિનની શોધમાં લાગી છે પરંતુ બીજી તરફ વાયુ પ્રદૂષણના કારણે દુનિયામાં કરોડો લોકોનું જીવન ટૂંકાઇ રહ્યું છે.

AQLIના રિપોર્ટ અનુસાર ભારતમાં તો વાયુ પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર છે કે કે કેટલાંક પ્રદેશોમાં તો તેના કારણે લોકોના સરેરાશ જીવનમાં એક દાયકાનો ઘટાડો થઇ રહ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર અનેક સ્થળો એવા છે જ્યાં લોકો જે હવા શ્વાસમાં લે છે તેની ગુણવત્તા માનવ સ્વાસ્થ્ય માટે કોરોના કરતાયે મોટો ખતરો છે.

બીજા શબ્દોમાં કહીએ તો આજે પ્રદૂષણના કારણે શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દેશભરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે. વધતા જતા પ્રદૂષણ સામે અસરકારક પગલા લેવા આવશ્યક બની ગયા છે. 

વાતાવરણમાં જ્યારે અતિ ભારે માત્રામાં ઝેરી કણો ભળેલા હોય ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જોખમ ઘણું વધી જાય છે. 

સ્મોગમાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ,  ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે.

આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુઃખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. આજે દેશના અનેક બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. 13 વર્ષથી ઓછી વયના બાળકોમાં બ્રોન્કાઇટિસની સમસ્યા વધી છે. 

થોડા સમય પહેલાં જ વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટમાં દુનિયાના 30 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ભારતના 21 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હકીકતમાં દુનિયાના બાકીના દેશોની સરખામણીએ ભારતમાં પ્રદૂષણની સમસ્યા વધારે ગંભીર છે. દેશના નાનામોટા શહેરોના કરોડો લોકો દુનિયાની સૌથી ઝેરી કહી શકાય એવી હવામાં શ્વાસ લઇ રહ્યાં છે.

જોકે એવું જણાઇ રહ્યું છે કે લોકો પોતાની આ દુર્દશા વિશે સાવ અજાણ છે. એર ક્વોલિટી એટલે કે હવાની ગુણવત્તા માપવાના ઘણાં માપદંડ છે પરંતુ જેમાં સૌથી વધારે પ્રચલિત છે હવામાં PM 2.5 અને PM 10નું પ્રમાણ. 

PMનો અર્થ છે પાર્ટિક્યૂલેટ મેટર એટલે કે હવામાં રહેલા સૂક્ષ્મ કણો. PM 2.5 અને PM 10 આ કણોની સાઇઝ દર્શાવે છે. સામાન્ય રીતે આપણા શરીર પરના વાળની સાઇઝ PM 50 જેટલી હોય છે.

એના પરથી અંદાજ લગાવી શકાય કે PM 2.5 અને PM 10 કેટલા સૂક્ષ્મ કણ હશે. સામાન્ય સંજોગોમાં 24 કલાકમાં હવામાં PM 2.5નું પ્રમાણ 60 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ અને PM 10નું પ્રમાણ 100 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ. આ કણોનું આના કરતા વધારે પ્રમાણ હોય તો એ સ્થિતિ ભયજનક ગણાય.

ઉદ્યોગો, ઘરો, કાર અને ટ્રકોમાંથી વાયુ પ્રદૂષણ ફેલાવતા જટિલ મિશ્રણો નીકળે છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એમાંયે સૂક્ષ્મ કણો માનવ સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન કરે છે. દેશમાં પ્રદૂષણના માઝા મૂકવા પાછળ એક કરતા વધારે પરિબળો ભાગ ભજવી રહ્યાં છે. એ તો જગજાહેર છે કે જ્યાં ઔદ્યોગિક કામકાજ વધારે પ્રમાણમાં થતું હોય ત્યાં પ્રદૂષણ વધારે પ્રમાણમાં થાય છે.

આજે દેશના મેટ્રો સીટી ઉપરાંત નાના શહેરોમાં ફેકટરીઓ મોટા પ્રમાણમાં હોય છે અને સામા પક્ષે પ્રદૂષણને અંકુશમાં રાખતી વનસ્પતિ ઓછા પ્રમાણમાં હોય છે. બીજું કારણ છે ડીઝલ જનરેટરોનો વધારે પ્રમાણમાં થયો ઉપયોગ જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે. રોજેરોજ દેશની સડકો ઉપર જે અસંખ્ય વાહનો ફરતા હોય છે તેના ધૂમાડા દ્વારા ફેલાતું પ્રદૂષણ વાતાવરણમાં ભળતું રહે છે. 

શહેરોમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે તેના પગલે ઇમારતોના બાંધકામમાં ભારે વધારો થયો છે. આવી ઇમારતોના નિર્માણસ્થળ આસપાસ ધૂળના ઢગલાં જામેલાં હોય છે જે પણ પ્રદૂષણમાં ભારે વધારો કરે છે. 

ઉપરાંત પાવર પ્લાન્ટોમાં વપરાતા કોલસાના બળતણના કારણે જે પ્રચંડ પ્રમાણમાં ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે તેની તો ગણતરી કરવી જ મુશ્કેલ છે. જેમ જેમ શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ આવા શહેરોની વસતી પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. કારણ એ કે રોજીરોટી કમાવાના આશય સાથે આસપાસના ગામડાઓના લાખો લોકો આવા શહેરોમાં પહોંચતા હોય છે. વસતી વધતા કુદરતી સંસાધનો પર બોજ વધે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. 

વાયુ પ્રદૂષણને નાથવા સુપ્રીમ કોર્ટ અનેક વખત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, એજન્સીઓ અને પર્યાવરણ મંત્રાલયને ચેતવણી આપી ચૂકી છે તેમ છતાં સરકારો પાસે પ્રદૂષણને ડામવા માટેની અસરકારક યોજનાઓનો અભાવ જણાય છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઇ પણ રાજકીય પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં કે એજેન્ડામાં પ્રદૂષણ ઓછું કરવાના દાવા કરતો નથી. ખરેખર તો રાજકીય પક્ષો પ્રદૂષણને લગતા મુદ્દા ઉઠાવતા નથી એની પાછળનું મુખ્ય કારણ પ્રજાની એ સમસ્યા પ્રત્યેની ઉદાસિનતા છે. 

એવું જણાય છે કે દેશના લોકો બીજી સમસ્યાઓમાં એટલા ડૂબી ગયા છે કે તેમને પ્રદૂષણ દ્વારા પેદા થતા જોખમો વિશે જાણ જ નથી કે પરવા જ નથી. અથવા તો જેમ દરેક બાબતમાં બને છે એમ ઝેરી હવામાં શ્વાસ લેવાને પોતાની કિસ્મત ગણીને આ સમસ્યા સામે હથિયાર નાખી દીધાં છે.

દેશના લોકો પ્રદૂષણ મુદ્દે કોઇ વાત જ કરતા નથી જેના પરિણામે પર્યાવરણને લગતા મુદ્દા માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે અને દેશની નદીઓને પ્રદૂષણમુક્ત કરવાના દાવા થાય છે પરંતુ પ્રજાની ભાગીદારી વગર આવા અભિયાનો વધારે ચાલતા નથી અને શ્વાસમાં જતી હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે. 

ભારતના જે શહેરો પ્રદૂષણના મામલે અવલ્લ છે એમાં મોટા ભાગના શહેરો ઉત્તર ભારતના છે. દિલ્હીને તો દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાનીનો શિરપાવ મળ્યો છે. જુદાં જુદાં રિપોર્ટો કહે છે કે દેશની રાજધાનીના વાયુ પ્રદુષણમાં 39 ટકા ધુમાડો વાહનો અને બાવીસ ટકા ધુમાડો ઔદ્યોગિક એકમો ફેલાવે છે.

એ ઉપરાંત હવા સાથે આવતી ધૂળ 18 ટકા જેટલું પ્રદૂષણ વધારી દે છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો જેવા કે નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદમાં હજારોની સંખ્યામાં ઔદ્યોગિક એકમો ચાલે છે. એમાં પણ જોખમકારક બાબત એ છે કે મોટા ભાગના ઔદ્યોગિક એકમો રહેણાંક વિસ્તારોમાં ચાલે છે. વાયુ પ્રદૂષણ ફેલાવવામાં મોટો હાથ જૂના વાહનોનો પણ છે. લાખોની સંખ્યામાં એવા વાહનો સડકો પર દોડે છે જેમનું આયુષ્ય ખતમ થઇ ચૂક્યું છે.

આવા વાહનોમાંથી પીએમ 2.5 કણો સૌથી વધારે પ્રમાણમાં ઉત્સર્જિત થાય છે. 

દુનિયાની લગભગ ચોથા ભાગની વસતી ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ એમ ચાર દક્ષિણ એશિયાઇ દેશોમાં વસે છે અને આ દેશોમાં જ પ્રદૂષણ સૌથી વધારે છે. AQLIના દાવા અનુસાર આ દેશોમાં વસતા લોકોનું આયુષ્ય વાયુ પ્રદૂષણના કારણે પાંચ વર્ષ સુધી ઘટી જશે કારણ કે લોકો એવી સ્થિતિમાં જીવી રહ્યાં છે જેમાં 20 વર્ષ પહેલાની સરખામણીએ પ્રદૂષણનું સ્તર હવે 44 ટકા વધારે છે. એમાંયે ઉત્તર ભારતના રાજ્યોમાં રહેતા 25 કરોડ લોકોના આયુષ્યમાં તો સરેરાશ આઠ વર્ષનો ઘટાડો થવાની સંભાવના છે. 

બેશક કોરોના વાઇરસ ગંભીર ખતરો છે અને એના પર ધ્યાન આપવું અનિવાર્ય છે. પરંતુ થોડું ધ્યાન વાયુ પ્રદૂષણની ગંભીરતા પર આપવામાં આવે તો કરોડો લોકોને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય નસીબ થઇ શકશે. અનેક અભ્યાસમાં પણ બહાર આવ્યું છે કે કોરોનાનું જોખમ પણ વાયુ પ્રદૂષણના કારણે વધી જાય છે.

અનેક સંસ્થાઓએ દુનિયાભરની સરકારોને અપીલ કરી છે કે કોરોના મહામારીનું જોખમ ટળ્યા બાદ વાયુની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપવામાં આવે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો