મધ્ય પ્રદેશમાં મેઘ તાંડવ : અત્યાર સુધીમાં આઠ લોકોના મોત, 7000થી વધારેનું રેસ્ક્યુ

ભોપાલ, તા. 30 ઓગષ્ટ 2020, રવિવાર

છેલ્લા થોડા દિવસોથી મધ્ય પ્રદેશમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળી રહ્યું છે. સતત ભારે વરસાદના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. મધ્ય પ્રદેશના 12 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે કેટલીક જગ્યા પર સેનાની મદદ વડે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું છે. પૂરના કારણે રાજ્યમાં ત્યાર સુધીમાં આઠ લોકોના જીવ ગયા છે. તો 12 જિલ્લાના 454 ગામોમાંથી 7000 કરતા પણ વધારે લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. આ સિવાય પૂરમાં ફસાયેલા 40 ગામના 12000 કરતા પણ વધારે લોકોને બચાવવા માટેમા પ્રયાસો ચાલુ છે. આ માહિતિ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી છે. 

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે દિવાલો પડવાથી તેમજ નદી નાળામાં તણાવાના કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસથી સતત થઇ રહેલા વરસાદના કારણે 12 જિલ્લાના 454 ગામડાઓમાં વિનાશક સ્થિતિ ઉભી થઇ છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને વાયુસેના પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 7000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

રાજ્યમાં 170 જેટલા રાહત શિબિર ઉભા કરાય છે, જેની અંદર 9300 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરુ છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાન ઉપર જ કંટ્રોલ રુમ ઉભો કરવામાં આવ્યો છે. નર્મદા અને તેની સહાયક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. રાજ્યના ચેકડેમો ઓવરફ્લો થયા છે. જેના કારણે નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. નર્મદાના બંને કિનારા પર આવેલા હોશંગાબાદ, રાયસેન અને શિહોર જિલ્લામાં વિનાશ વેરાયો છે.

મધ્ય પ્રદેશના કેટલાય ગામડાઓ અને શહેર પાણીમાં ગરકાવ થયા છે. શિવરાજ સિંહે જણાવ્યું કે આજે સવારે જ મેં રાજ્યમાં પૂરની સ્થિતિ વિશે વડાપ્રધાન સાથે ચર્ચા કરી છે. તેમને રાજ્યની સ્થિતિ વિશે માહિતિ આપી છે. આ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ પાસે પણ મદદ માંગવામાં આવી છે. 

વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટરોને બચાવકાર્યમાં લગાવવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા હજુ પણ બે હેલિકોપ્ટરોની માંગ કરવામાં આવી છે. સેનાના 70 જવાનોની ટુકડી પહેલાથી જ બચાવકાર્યમાં લાગી છે. સેનાની વધારે ટૂકડીઓની પણ માંગ કરવામાં આવી છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો