શિયાળામાં પ્રદૂષણ વધતા કોરોના વકરવાનું જોખમ

- હેલ્થ એક્સપર્ટ્સના મતે હવામાં રહેલા પ્રદૂષકો કોરોનાના આસાન વાહકો બની શકે છે અને એના કારણે ભારતમાં કોરોના વધારે વકરવાનો ભય છે કારણ કે ભારતના શહેરો અત્યંત પ્રદૂષિત છે અને શહેરોમાં વસતીની ગીચતા પણ વધારે છે


સ્ટેટ ઓફ ગ્લોબર એર (સોગા)-૨૦૨૦ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે વાયુ પ્રદૂષણ દ્વારા થતા વાર્ષિક મોતોના મામલે ચીન અને ભારત સૌથી આગળ છે. દુનિયામાં વાયુ પ્રદૂષણના કારણે થતા કુલ મૃત્યુના ૫૮ ટકા માત્ર આ બે દેશોમાં થાય છે. ગયા વર્ષે ચીનમાં આશરે ૧૪.૨ લાખ લોકોના મૃત્યુ વાયુ પ્રદૂષણના કારણે થયા તો ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે ૯.૮૦ લાખ લોકોના મૃત્યુ થયા. 

વાયુ પ્રદૂષણના કારણે સૌથી વધારે મૃત્યુ નીપજ્યાં હોવા છતાં ચીન પ્રદૂષણ સામે લડવામાં ભારત કરતા વધારે સારી સ્થિતિમાં છે. જાણકારોના મતે ચીનમાં વધારે મૃત્યુ પાછળ ત્યાંની વૃદ્ધ વસતી જવાબદાર છે. સોગાના રિપોર્ટ અનુસાર ૩૦ સૌથી વધારે પ્રદૂષિત દેશોમાં ભારત પહેલા ક્રમે છે તો ચીને પોતાના રેન્કમાં ઘણો સુધારો કર્યો છે અને ૨૯મા સ્થાને છે. ઉપગ્રહ દ્વારા મળેલી તસવીરો દર્શાવે છે કે છેલ્લા સાત વર્ષમાં ચીનમાં પરિસ્થિતિ ઘણી સુધરી છે અને હવે ત્યાં પીએમ ૨.૫નું સ્તર ૪૫થી ૭૫ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર છે. જ્યારે ભારતમાં આ પ્રમાણ સરેરાશ ૮૫ માઇક્રોગ્રામથી વધારે રહેતું હોય છે.  એર ક્વોલિટી એટલે કે હવાની ગુણવત્તા માપવાના ઘણાં માપદંડ છે પરંતુ જેમાં સૌથી વધારે પ્રચલિત છે હવામાં પીએમ ૨.૫ અને પીએમ ૧૦નું પ્રમાણ. પીએમ નો અર્થ છે પાર્ટિક્યૂલેટ મેટર એટલે કે હવામાં રહેલા સૂક્ષ્મ કણો. પીએમ ૨.૫ અને પીએમ ૧૦ આ કણોની સાઇઝ દર્શાવે છે. સામાન્ય રીતે આપણા શરીર પરના વાળની સાઇઝ પીએમ ૫૦ જેટલી હોય છે. એના પરથી અંદાજ લગાવી શકાય કે પીએમ ૨.૫ અને પીએમ ૧૦ કેટલા સૂક્ષ્મ કણ હશે. સામાન્ય સંજોગોમાં ૨૪ કલાકમાં હવામાં પીએમ ૨.૫નું પ્રમાણ ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ અને પીએમ ૧૦નું પ્રમાણ ૧૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ. આ કણોનું આના કરતા વધારે પ્રમાણ હોય તો એ સ્થિતિ ભયજનક ગણાય.

તાજેતરમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણ પૃથ્વી પર દરેક પુરુષ. મહિલા અને બાળકની લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી ઘટાડી દે છે. એક્યૂએલઆઇના રિપોર્ટ અનુસાર ભારતમાં તો વાયુ પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલાંક પ્રદેશોમાં તો તેના કારણે લોકોના સરેરાશ જીવનમાં એક દાયકાનો ઘટાડો થઇ રહ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર અનેક સ્થળો એવા છે જ્યાં લોકો જે હવા શ્વાસમાં લે છે તેની ગુણવત્તા માનવ સ્વાસ્થ્ય માટે કોરોના કરતાયે મોટો ખતરો છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે પ્રદૂષણના કારણે શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દેશભરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે. વધતા જતા પ્રદૂષણ સામે અસરકારક પગલા લેવા આવશ્યક બની ગયા છે. 

વાતાવરણમાં જ્યારે અતિ ભારે માત્રામાં ઝેરી કણો ભળેલા હોય ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જોખમ ઘણું વધી જાય છે. સ્મોગમાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુઃખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. આજે દેશના અનેક બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. ૧૩ વર્ષથી ઓછી વયના બાળકોમાં બ્રોન્કાઇટિસની સમસ્યા વધી છે. 

ઉદ્યોગો, ઘરો, કાર અને ટ્રકોમાંથી વાયુ પ્રદૂષણ ફેલાવતા જટિલ મિશ્રણો નીકળે છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એમાંયે સૂક્ષ્મ કણો માનવ સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન કરે છે. દેશમાં પ્રદૂષણના માઝા મૂકવા પાછળ એક કરતા વધારે પરિબળો ભાગ ભજવી રહ્યાં છે. એ તો જગજાહેર છે કે જ્યાં ઔદ્યોગિક કામકાજ વધારે પ્રમાણમાં થતું હોય ત્યાં પ્રદૂષણ વધારે પ્રમાણમાં થાય છે. આજે દેશના મેટ્રો સીટી ઉપરાંત નાના શહેરોમાં ફેકટરીઓ મોટા પ્રમાણમાં હોય છે અને સામા પક્ષે પ્રદૂષણને અંકુશમાં રાખતી વનસ્પતિ ઓછા પ્રમાણમાં હોય છે. બીજું કારણ છે ડીઝલ જનરેટરોનો વધારે પ્રમાણમાં થયો ઉપયોગ જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે. રોજેરોજ દેશની સડકો ઉપર જે અસંખ્ય વાહનો ફરતા હોય છે તેના ધૂમાડા દ્વારા ફેલાતું પ્રદૂષણ વાતાવરણમાં ભળતું રહે છે. 

શહેરોમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે તેના પગલે ઇમારતોના બાંધકામમાં ભારે વધારો થયો છે. આવી ઇમારતોના નિર્માણસ્થળ આસપાસ ધૂળના ઢગલાં જામેલાં હોય છે જે પણ પ્રદૂષણમાં ભારે વધારો કરે છે. ઉપરાંત પાવર પ્લાન્ટોમાં વપરાતા કોલસાના બળતણના કારણે જે પ્રચંડ પ્રમાણમાં ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે તેની તો ગણતરી કરવી જ મુશ્કેલ છે. જેમ જેમ શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ આવા શહેરોની વસતી પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. કારણ એ કે રોજીરોટી કમાવાના આશય સાથે આસપાસના ગામડાઓના લાખો લોકો આવા શહેરોમાં પહોંચતા હોય છે. વસતી વધતા કુદરતી સંસાધનો પર બોજ વધે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. 

વાયુ પ્રદૂષણને નાથવા સુપ્રીમ કોર્ટ અનેક વખત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, એજન્સીઓ અને પર્યાવરણ મંત્રાલયને ચેતવણી આપી ચૂકી છે તેમ છતાં સરકારો પાસે પ્રદૂષણને ડામવા માટેની અસરકારક યોજનાઓનો અભાવ જણાય છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઇ પણ રાજકીય પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં કે એજેન્ડામાં પ્રદૂષણ ઓછું કરવાના દાવા કરતો નથી. ખરેખર તો રાજકીય પક્ષો પ્રદૂષણને લગતા મુદ્દા ઉઠાવતા નથી એની પાછળનું મુખ્ય કારણ પ્રજાની એ સમસ્યા પ્રત્યેની ઉદાસિનતા છે. 

થોડા સમય પહેલાં જ વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટમાં દુનિયાના ૩૦ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ભારતના ૨૧ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હકીકતમાં દુનિયાના બાકીના દેશોની સરખામણીએ ભારતમાં પ્રદૂષણની સમસ્યા વધારે ગંભીર છે. દેશના નાનામોટા શહેરોના કરોડો લોકો દુનિયાની સૌથી ઝેરી કહી શકાય એવી હવામાં શ્વાસ લઇ રહ્યાં છે. જોકે એવું જણાઇ રહ્યું છે કે લોકો પોતાની આ દુર્દશા વિશે સાવ અજાણ છે. એવું જણાય છે કે દેશના લોકો બીજી સમસ્યાઓમાં એટલા ડૂબી ગયા છે કે તેમને પ્રદૂષણ દ્વારા પેદા થતા જોખમો વિશે જાણ જ નથી કે પરવા જ નથી. અથવા તો જેમ દરેક બાબતમાં બને છે એમ ઝેરી હવામાં શ્વાસ લેવાને પોતાની કિસ્મત ગણીને આ સમસ્યા સામે હથિયાર નાખી દીધાં છે.

દુનિયાની લગભગ ચોથા ભાગની વસતી ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ એમ ચાર દક્ષિણ એશિયાઇ દેશોમાં વસે છે અને આ દેશોમાં જ પ્રદૂષણ સૌથી વધારે છે. એક રિપોર્ટ અનુસાર આ દેશોમાં વસતા લોકોનું આયુષ્ય વાયુ પ્રદૂષણના કારણે પાંચ વર્ષ સુધી ઘટી જશે કારણ કે લોકો એવી સ્થિતિમાં જીવી રહ્યાં છે જેમાં ૨૦ વર્ષ પહેલાની સરખામણીએ પ્રદૂષણનું સ્તર હવે ૪૪ ટકા વધારે છે. એમાંયે ઉત્તર ભારતના રાજ્યોમાં રહેતા ૨૫ કરોડ લોકોના આયુષ્યમાં તો સરેરાશ આઠ વર્ષનો ઘટાડો થવાની સંભાવના છે. 

હેલ્થ એક્સપર્ટ્સ સતત કહી રહ્યાં છે કે હવામાં રહેલા પ્રદૂષકો કોરોનાના આસાન વાહકો બનશે અને એના કારણે ભારતમાં કોરોના વધારે વકરવાનો ભય છે. ભારતના શહેરો અત્યંત પ્રદૂષિત છે અને શહેરોમાં વસતીની ગીચતા પણ વધારે છે. ઇન્ડોર પ્રદૂષણ પણ ઘણું વધારે છે. એટલા માટે કોરોનાને કાબુમાં કરવા માટે પણ પ્રદૂષણને કાબુમાં કરવું પડશે. ખાસ કરીને શિયાળામાં ભારતના અનેક શહેરોમાં પીએમ ૨.૫નું પ્રમાણ ૪૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી પણ વધારે થઇ જતું હોય છે. શિયાળો આવતા સ્વાઇન ફ્લ્યૂના મામલા વધવા લાગે છે, એ જ રીતે કોવિડ-૧૯ના મામલા પણ વધી શકે છે.

આજે જો પ્રદૂષણને લઇને દૂરંદેશી કેળવવામાં ન આવી તો આગામી સમયમાં દેશના નાનામોટા શહેરો જ રહેવાલાયક નહીં રહે અને એના પરિણામો વિનાશકારી હશે. હવે સમય આવી ગયો છે કે લોકો પ્રદૂષણ દૂર કરવાના મામલે જાગૃત બને અને પ્રશાસનને હરકતમાં લાવવા માટે આંદોલનો ચલાવેે.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો