શરમજનક! એક ઓર બળાત્કાર પીડિતા મોતને ભેટી


ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું. ગત ૧૪ સપ્ટેમ્બરે ૧૯ વર્ષની દલિત યુવતી પોતાના પરિવાર સાથે ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે ચાર નરાધમોએ તેને ઢસડી જઇને તેના પર સામુહિક બળાત્કાર કર્યો. યુવતીએ વિરોધ કરતા તેના પર અનેક યાતનાઓ ગુજારવામાં આવી. એવા રિપોર્ટ પણ છે કે યુવતીની કરોડરજ્જૂ તોડી નાખવામાં આવી અને તે આરોપીઓ વિરુદ્ધ જુબાની ન આપી શકે એ માટે તેની જીભ પણ કાપી નાખવામાં આવી.

ગંભીર અવસ્થામાં પીડિતાને અલીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ તેની તબિયત ઓર બગડતા દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. યુવતીને બચાવવાના તમામ પ્રયાસો છતાં મંગળવારે સવારે તેનું મૃત્યુ નીપજ્યું. યુવતી સાથેના અમાનવીય અત્યાચારે આખા દેશના લોકોને હલાવી દીધો છે અને લોકો સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યાં છે. 

ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હી ખાતે નિર્ભયાનું ઉપનામ પામેલી એક યુવતીની સાથે ચાલુ બસમાં જે ઘૃણિત સામૂહિક બળાત્કારનો બનાવ બન્યો ત્યારે માત્ર દેશ જ નહીં, આખી દુનિયા હચમચી ઉઠી હતી. નિર્ભયાના બનાવ સમયે આખો દેશ એક સાથે આંદોલનમાં જોડાયો હતો. દેશભરના યુવાનો સડકો પર ઉતરી આવ્યાં હતાં. સરકાર, સમાજ અને તમામ રાજકીય દળોએ પણ સંકલ્પ લીધો હતો કે હવે કોઇ આવી કોઇ ઘટના નહીં બને. એ આંદોલન અને એ સમયે લીધેલા સંકલ્પો બાદ લાગવા માંડયું હતું કે હવે દેશની પરિસ્થિતિ બદલાશે અને દેશમાં મહિલાઓ સુરક્ષિત બનશે. સરકાર ઉપર પણ કડક કાયદા ઘડવાનું દબાણ સર્જાઇ રહ્યું હતું.

નિર્ભયાકાંડ બાદ સરકારે મહિલાઓની સુરક્ષા માટે એક અલગ કોષની સ્થાપના કરી. એ સાથે જ લોકોના રોષને ઠંડો પાડવા માટે સરકારે જસ્ટીસ જે.એમ. વર્માની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી જેણે અનેક કડક ઉપાયોની હિમાયત કરી. જાન્યુઆરી ૨૦૧૩માં સમિતિએ સોંપેલા રિપોર્ટમાં પોલીસની સંખ્યા, પોલીસની કામગીરીમાં સુધારા, આપરાધિક મામલાઓમાં દંડ વ્યવસ્થા અને સામાજિક જાગૃતિ અંગેની ભલામણો કરી.

એ સમયે જે આંદોલન ચાલી રહ્યું હતું એમાં મુખ્ય માંગ એ હતી કે બળાત્કારના દોષિતોને મૃત્યુદંડની સજા આપવામાં આવે. જોકે મૃત્યુદંડની સજાને લઇને ઘણાં મતભેદ હતાં પરંતુ છેવટે એ ભલામણ પણ સ્વીકારવામાં આવી. એ પછી ત્રણ મહિનાની અંદર જ કાયદામાં આ ફેરફારનો વટહુકમ પણ જારી થઇ ગયો.

કાયદામાં બદલાવ પાછળ આકરા દંડનો સિદ્ધાંત હતો અને એ વિચારસરણી હતી કે જો બળાત્કારીઓને બચી નીકળવાના માર્ગ બંધ થઇ જાય અને તેમને આકરી સજા થાય તો લોકોમાં દાખલો બેસે અને અપરાધી માનસિકતા ધરાવતા લોકો આવા અપરાધ કરતા અટકે. પરંતુ કડક કાયદા છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ ઓછી થઇ નથી. નિર્ભયાના કેસ વખતે જે લોકજુવાળ ઉમટયો હતો એ જોતા લાગતું હતું કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે થતા આવા ભયંકર અપરાધોમાં કમી આવશે પરંતુ છેલ્લા થોડા સમયથી જે બનાવો સામે આવી રહ્યાં છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યાં છે. 

સમાજમાં વ્યવસ્થા જળવાઇ રહે એ માટે દુનિયાના તમામ દેશોમાં કાયદા સ્થાપિત કરવામાં આવ્યાં છે. જો કોઇ વ્યક્તિ આ નિયમો અને કાયદાની બહાર જઇને કોઇ કૃત્ય કરે તો તેને અસામાજિક ઠરાવવામાં આવે છે. મનોવિકારની પ્રવૃત્તિઓ પણ અસામાજિક લેખાય છે. આજે સમાજમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી રહી છે જેનો અભ્યાસ કરતા જણાય છે કે સમાજ બીમાર બની રહ્યો છે. નાની બાળકીઓથી લઇને આધેડ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના મામલા વધી રહ્યાં છે. છોકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તેમના ઉપર એસિડ એટેક થાય છે. બાળકોનું યૌન શોષણ કરવામાં આવે છે. 

બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. લોકોએ પણ એક સમાજ તરીકે જાગવાની જરૂર છે. અસામાજિક તત્ત્વોના ભયને કોરાણે મૂકીને આવા મામલાઓમાં અવાજ ઉઠાવવાની જરૂર છે.

એક સમાજ તરીકે આપણે એ જોવાની જરૂર છે કે આપણે કેટલા અસંવેદનશીલ અને અશક્ત બની રહ્યાં છીએ. એક લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે કેટલા કાયર બની રહ્યાં છીએ અને ભીડ બનીને લોકોના જીવ લઇ લેતા લોકોને મૂક દર્શક બનીને જોતા રહીએ છીએ. કરુણતા એ છે કે નિર્ભયા કાંડ બાદ પણ આપણે કશું શીખ્યાં નથી. સમાજમાં મહિલાઓ પ્રત્યે અત્યાચારના મામલા અટકતાં ન હોય ત્યારે સરકારની અને સમાજની ફરજ બને છે કે આવી માનસિકતા ધરાવતા લોકોનો ઇલાજ કરવો.

મહિલા સુરક્ષાના તમામ કાયદા છતાં દેશમાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે. મહિલા સંગઠનોનું કહેવું છે કે મહિલાઓની સલામતિના મામલે અગાઉ કરતા અત્યારે જાગૃતિ ફેલાઇ છે પરંતુ ગ્રામીણ વિસ્તિારોમાં ઘણાં ખરાં મામલા પોલિસ સુધી પહોંચતા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં યૌૈનશોષણના મામલાઓને સ્થાનિક સ્તરે પંચાયતો દ્વારા જ ઉકેલી દેવામાં આવે છે.

લોકોએ પણ એક સમાજ તરીકે જાગવાની જરૂર છે. અસામાજિક તત્ત્વોના ભયને કોરાણે મૂકીને આવા મામલાઓમાં અવાજ ઉઠાવવાની જરૂર છે. એક સમાજ તરીકે આપણે એ જોવાની જરૂર છે કે આપણે કેટલા અસંવેદનશીલ અને અશક્ત બની રહ્યાં છીએ. એક લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે કેટલા કાયર બની રહ્યાં છીએ અને આવી નિર્દય ઘટનાઓને મૂક દર્શક બનીને જોતા રહીએ છીએ. જો આવી ઘડીમાં આપણે આપણી જવાબદારી અને ભાગીદારી માટે એક નહીં બનીએ તો માત્ર એક સમાજ તરીકે જ નહીં પરંતુ એક રાષ્ટ્ર તરીકે પણ નિષ્ફળ જઇશું. 

આધુનિકતા અને વિકાસના દાવાઓ વચ્ચે પણ હકીકત તો એ છે કે આજે પણ મહિલાઓ માટે પરિસ્થિતિ સલામત અને સહજ નથી. આમ તો ઘણાં સમયથી બળાત્કારના અપરાધોમાં ફાંસીની સજા આપવાની માંગ થઇ રહી છે. સરકારનું માનવું છે કે કડક કાયદાના અમલીકરણથી યૌનઅપરાધોમાં ઘટાડો કરવામાં સફળતા મળી શકે છે. સરકાર અને કોર્ટોની સાથે સાથે સમાજે પણ યૌનશોષણ સામે જાગૃત બનવાની જરૂર છે.

જાણકારોનું કહેવું છે કે યૌનશોષણના અપરાધીઓને સજા મળવાનો દર પણ ઓછો હોવાના કારણે બળાત્કારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલાના આરોપીઓ થોડાક મહિના જેલમાં કાઢ્યા બાદ જામીન ઉપર છૂટી જતાં હોય છે. ઘણાં ખરાં મામલાઓમાં તો પુરાવાના અભાવે આવા નરાધમો બચી પણ જતાં હોય છે. દેશમાં આવા મામલાઓમાં સજા થવાની સરેરાશ માત્ર ૧૯ ટકા જ છે. મતલબ કે બળાત્કારના નોંધાયેલા ગુનાઓમાં પણ માત્ર આટલા ટકા અપરાધીઓને સજા થાય છે. આના કારણે યૌન અપરાધીઓની હિંમતમાં વધારો થાય છે.

આવા માનવતાને શર્મસાર કરતા અપરાધો માટે રાજકારણ કે સાંપ્રદાયિક્તાથી ઉપર ઊઠીને દોષિતોને આકરામાં આકરી સજા થાય એ માટે લોકોએ હાકલ કરવાની જરૂર છે નહીંતર આવી ઘટનાઓના દુરોગામી પરિણામો અત્યંત ઘાતક પુરવાર થશે. આવા અપરાધીઓને આકરામાં આકરી સજા કરીને દાખલો બેસાડવાની જરૂર છે.

એ ખરું કે દોષિતોને બચી નીકળવાના માર્ગ બંધ કરવા અને તેમને આકરી સજા કરવી જરૂરી છે પરંતુ એવા પગલાં ગુના ખતમ થવાની ગેરંટી નથી આપતા. એ સાથે સૌથી જરૂરી બાબત એ છે કે એવી પરિસ્થિતિઓ જ ખતમ કરવી જે આવા ગુનાઓ આચરવાનું કારણ બને છે. બળાત્કાર જેવા અપરાધ કુંઠિત અને વિકૃત માનસિકતા ધરાવતા લોકો કરે છે અને ઘણી વખત આવી માનસિકતા સમાજમાં મહિલાઓ પ્રત્યેની આપણી સામાજિક વિચારસરણી દ્વારા ઉદ્ભવતી હોય છે. 

મહિલાઓ માટે માત્ર કાયદાકીય રીતે જ નહીં, સામાજિક સ્તરે પણ બરોબરીનો દરજ્જો આપીને અને તેમની સાર્વજનિક સક્રિયતા વધારીને જ આવી વિકૃત માનસિકતાને ખતમ કરી શકાય છે. એમ કરીને જ આપણે એવા સમાજની રચના કરી શકીશું જેમાં કુંઠિત અને જડ માનસિકતા ધરાવતા લોકોને સ્થાન નહીં હોય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો