બાબરી કાંડમાં તમામ આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા કહ્યું, આ ઘટના પૂર્વઆયોજિત નહોતી


- સત્તર વર્ષ કેસ ચાલ્યા પછી આવ્યો ચુકાદો

લખનઉ તા.30 સપ્ટેંબર 2020 બુધવાર

લખનઉ સ્થિત સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે કહેવાતી બાબરી મસ્જિદ તોડનારા તમામ 32 આરોપીએાને મુક્ત કર્યા હતા. જસ્ટિસ સુરૈન્દ્ર કુમાર યાદવે પોતાની કારકિર્દીના છેલ્લા દિવસે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે આ આખીય ઘટના પૂર્વાયોજિત નહોતી. બધું અચાનક બની ગયું હતું.

સુપ્રીમ કોર્ટે જેને વિવાદાસ્પદ બાંધકામ ગણાવ્યું હતું એ કહેવાતી બાબરી મસ્જિદને 1992ના ડિસેંબરની છઠ્ઠીએ તોડી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ઘટના સ્થળે બેથી અઢી લાખ લોકો હાજર હતા. વિદ્વાન જજના કહેવા મુજબ આ ઘટના એટલી અચાનક બની હતી કે કોઇ મોટા ગજાના નેતાનો એના પર કાબુ રહ્યો નહોતો.

છેલ્લાં 28 વર્ષથી આ મુદ્દો સળગતો રહ્યો હતો. આ કેસમાં ભાજપના ઘણા મોટા નેતાઓ સંડોવાયા હતા જેમા ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર મુરલી મનોહર જોશી, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સાધ્વી ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંઘ, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને ફાયર બ્રાન્ડ આગેવાન વિનય કટિયાર, અશોક સિઁઘલ, મહંદ નૃત્ય ગોપાલદાસ, રામ જન્મભૂમિ ન્યાસના સંત રામ વિલાસ વેદાંતી વગેરેન એમાં સમાવેશ થયો હતો.

32માંના 26 આરોપીઓ કોર્ટમાં હાજર હતા. વયોવૃદ્ધ નેતા અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે વિડિયો કોન્ફરન્સથી સામેલ થયા હતા. વિદ્વાન જજશ્રીએ કહ્યું હતું કે મિડિયામાં પ્રગટ થયેલા ફોટોગ્રાફ પરથી કોઇને આરોપી ઠરાવી શકાય નહીં.

આ કેસમાં આરોપ પુરવાર થયો હોત તો ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઇ હોત.  આ કેસના અન્ય આોપી સાક્ષી મહારાજ વગેરેને પણ કોર્ટે મુક્ત કર્યા હતા.  આ કેસની ચાર્જશીટ 2500 પાનાંની હતી તો ચુકાદો 2300 પાનામાં વિસ્તરેલો હતો. સત્તર વર્ષ કેસ ચાલ્યો હતો.

શિવસેનાના પ્રમુખ બાલાસાહેબ ઠાકરે એક માત્ર એવા નેતા હતા જેમણે એમ કહ્યુ હતુ કે મારા શિવસૈનિકોએ બાબરી તોડી છે અને એનું મને ગૌરવ છે. કોર્ટના ચુકાદા પછી તરત દેશના કાયદા ખાતાના મંત્રીઓ રવિશંકર પ્રસાદ અડવાણીને અભિનંદન આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.

કોર્ટે કહ્યુ હતુ કે જેમની સામે આરોપ મૂકવામાં આવ્યા હતા તે લોકોએ તો બાબરી મસ્જિદ તોડી રહેલા ટોળાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાના ફોટોગ્રાફ કે વીડિયો ઉપરથી એવુ પુરવાર થતુ નથી કે એ લોકોએ બાબરી મસ્જિદ તોડવા માટે ટોળાને ઉશ્કેર્યુ હતું. 

CBI આ લોકો સામે બાબરી મસ્જિદ તોડવાનું કાવતરૂં કર્યું હોય અથવા મસ્જિદ તોડવામાં નિમિત્ત બન્યા હોય એવા કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી. 

ફોટો કે વીડિયો પરથી કોઈને આરોપી પુરવાર કરી શકાય નહીં કે ગણી શકાય નહીં. ચુકાદાના આ મહત્વના મુદ્દા હતા. ચુકાદો આવી ગયા પછી કેટલાક સાધુઓએ હાજર રહેલા લોકોને મીઠાઈ વહેંચી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો