હવે ભારતીય સૈનિકો ગોળીઓ ચલાવવામાં વાર નહીં લગાડે, ભારતની ચીનને ચેતવણી
નવી દિલ્હી, તા.25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
લદ્દાખ સીમા પર ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ભારતે એલએસી પર મહત્વના શિખરોની ચોટીઓ પરથી હટવાનો ઈનકાર કરી દીધો છે.એટલુ જ નહી ચીનને બહુ સાફ શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી છે.
ચીન સાથે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન ભારતે સોઈ ઝાટકીને કહ્યુ હતુ કે, જો આ વિસ્તારમાં સ્થિતિ કાબૂ બહાર ગઈ તો અમારા સૈનિકો ગોળીઓ ચલાવતા ખચકાશે નહી.ભારતને મજબૂર કરવામાં આવ્યુ તો ભારત સંઘર્ષ કરતા ખચકાશે નહી.એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ માહિતી આપતા કહ્યુ હતુ કે, ચીનને બહુ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલમાં અધિકારીને ટાંકીને કહેવાયુ છે કે, હવે ભારતીય સૈનિકો ચીનના સૈનિકો દ્વારા થતી ધક્કા મુક્કી સહન નહીં કરે.જો ચીન તરફથી પરંપરાગત હથિયારોનો ઉપયોગ થયો તો ભારતીય સેના તરફથી ગોળીઓ ચાલવામાં સ્હેજ પણ વાર નહીં લાગે.
જોકે વાતચીત દરમિયાન બંને પક્ષો વચ્ચે સીમા પર વધારે સૈનિકો નહીં મોકલવા માટે સંમતિ તો થઈ છે પણ એલએસી પર ચાલી રહેલા તનાવને ઓછો કરવાનો કોઈ મોટો રસ્તો હજી સુધી ખુલ્યો નથી.આમ બંને દેશો હાડકા ગાળી નાંખે તેવા શિયાળામાં પણ એક બીજા સામે મોરચો માંડવાની તૈયારીઓ કરી રહ્યા છે.
Comments
Post a Comment