રાજ્યમાં પોઝિટિવ કેસો અને સ્વસ્થ થતાં કેસોની સંખ્યા થઈ ત્રણ ડિઝિટમાં, આજે 51,370 કોરોના ટેસ્ટ થયાં

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2020, રવિવાર
દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. ગુજરાતમાં આજે દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા અને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા બંન્ને ત્રણ ડિઝિટમાં આવી ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 919 નવા કેસ નોંધાયા છે. જેની સામે 963 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 07 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3689 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 149,548 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 57,42,742 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,25,964 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,25,747 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 217 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 919 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 166 અને જિલ્લામાં 61 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 162 અને જિલ્લામાં 12 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 72 અને જિલ્લામાં 43 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 65 અને જિલ્લામાં 32 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 28 અને જિલ્લામાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 65 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,871 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 149,548 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3689 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 89.46% છે.
Comments
Post a Comment